Gujarat Assembly : કોંગ્રેસ અને AAPના નેતાઓ વાંધામાંથી ઉંચા ન આવ્યા, આમંત્રણ છતા CM સહિત મંત્રીઓનું ન કર્યુ સન્માન
આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરાયુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. ગુજરાતે ભારતના ભવિષ્યને જોયું છે. મોરારી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી છે. આપણો દેશ કુશળ નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ના પાડી દીધી હતી.
વિધાનસભા સત્રના પહેલા દિવસે જ થયો વિવાદ
વિધાનસભા ગૃહમાં જ્યારે હાજર મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધનમાં શું કહ્યું
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધન દરમિયાન ધારાસભ્યો ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો ગૃહમાં ઉપસ્થિત રહ્યા. જેમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા તરફથી આ તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સંબોધન માટે તમામ ધારાસભ્યોને સવારે 9 કલાકે ગૃહમાં ઉપસ્થિત થવા અધ્યક્ષ શંકર ચૌધરીએ અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ સવારે 10 કલાકે ગૃહમાં ઉપસ્થિત થયા હતા. ડિજિટલ વિધાનસભાના ઉદ્ઘાટન અને સ્વાગત વિધિ બાદ રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.