Jail Bhajiya House : ગાંધી આશ્રમ બાદ 'જેલ ભજીયા હાઉસ' ને રૂ. 2.40 કરોડના ખર્ચે અપાશે હેરિટેજ લુક, જાણો વિશેષતા
અમદાવાદમાં (Ahmedabad) ગાંધી આશ્રમના (Gandhi Ashram) ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રક્રિયા હાલ અમલમાં છે. ત્યારે હવે આર.ટી.ઓ ( RTO Circle) ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ' ને (Jail Bhajiya House) પણ નવો હેરિટેજ લુક આવવાની તૈયારી કરાઈ રહી છે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જેનો ખર્ચ આશરે રૂ.2.40 કરોડથી વધુનો હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર ભજીયાનું વેચાણ, બીજા માળે મ્યુઝિયમ
માહિતી મુજબ, આ નવા ભજીયા હાઉસના (Jail Bhajiya House) ગ્રાઉન્ડ ફ્લોર પર સેલ રૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરવામાં આવશે. જ્યારે, પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્પેશિયલ 'ગાંધી થાળી' (Gandhi Thali) લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી (Mahatma Gandhi), સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel), કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
જેલની અંદરના માહોલની થીમ
અમદાવાદમાં (Ahmedabad) નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં (Jail Bhajiya House) જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં 'જેલ ભજીયા હાઉસ'ને સાબરમતી મધ્યસ્થ જેલની (Sabarmati Central Jail) બાજુમાં ખસેડવામાં આવેલ છે. ઉપરાંત, આર.ટી.ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણકાર્ય પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ 2023-24માં કુલ રૂ. 86.47 લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. 'જેલ ભજીયા હાઉસ'ના નવીનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
'જેલ ભજીયા હાઉસ' ના નવા હેરિટેજ લુકની વિશેષતાઓ :
> ત્રણ માળનું અદ્યતન 'જેલ ભજીયા હાઉસ' રૂ. 2.40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાશે,
> જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરાશે,
> સાબરમતી જેલમાં રહેલા સ્વાતંત્ ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવાશે,
> નવા જેલ ભજીયા હાઉસમાં 'ગાંધી થાળી' આકર્ષણનું કેન્દ્ર બનશે,
આ પણ વાંચો - Junagadh : મહાશિવરાત્રીના મેળાને લઈ પૂરજોશમાં તૈયારીઓ, મનપાએ 90 પ્લોટની ફાળવણી કરી શરૂ