VADODARA : "શહેર વેચવા કાઢ્યું છે", ભાજપના કોર્પોરેટરનો બળાપો
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી (BJP CORPORATOR ASHISH JOSHI) એ મીડિયા સમક્ષ બળાપો કાઢતા કહ્યું કે, પીપીપી મોડલના નામે શહેરને વેચવા કાઢ્યું છે. ભાજપના કોર્પોરેટર અગાઉ પણ સરકાર સામે અનેક અણિયારા સવાલો ઉઠાવી ચુક્યા છે. તો બીજી તરફ ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ સિમીત કરવાના જાહેરનામા સામે સવાલો ઉઠાવ્યા હતા. આમ, ભાજપના જ કોર્પોરેટર પાલિકાની સભામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોય તેવા એક તબક્કે દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય
વડોદરા પાલિકામાં સામાન્ય સભા ચાલી રહી છે. જેમાં વડોદરાના વિદ્યાર્થીઓને એમ એસ યુનિ.માં એડમિશન, સરકારી નોકરીઓમાં સ્થનિકોને અન્ય જેવા મુદ્દે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી છે. જે બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, યુનિ.માં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે. સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો તે બાબતની રજુઆત છે. સર સયાજીરાવ દ્વારા આપવામાં આવેલી યુનિ.માં વિદ્યાર્થીઓએ આંદોલન કરીને એડમિશન લેવું પડે તે વ્યાજબી નથી. સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઇ રહ્યો છે.
નાગરિકોની સેવા કરી શકત
વધુમાં તેમણે જણાવ્યું કે, આચાર સંહિતા પહેલા મુખ્યમંત્રીએ 552 જૂનિયર ક્લાર્કના નિમણુંક પત્રો આપ્યા હતા. આપ રેકોર્ડ જોશો તો 552 માંથી ખુબ ઓછા વડોદરા શહેર જિલ્લાના લોકો હતા. મુદ્દો છે કે, સ્થાનિકોને નિમણુંક પત્રો મળ્યા હોત તો આપણે સારી રીતે વડોદરા શહેરના નાગરિકોની સેવા કરી શકત. બાળકો એડમિશન માટે રળી રહ્યા છે, સ્થાનિકોને વડોદરામાં નોકરી નહી. જયારે શહેરને સર સયાજીરાવે જે પણ કંઇ ફ્રી માં આપ્યું તે બધી વસ્તુ પીપીપી મોડલના નામે વેચવા કાઢી હોય તે દેખાઇ રહ્યું છે.
હિન્દુ તહેવારોમાં જ પાબંધી
જ્યારે ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા પાલિકામાં ગણેશજીની પ્રતિમાઓની ઉંચાઇ નક્કી કરવા માટેના જાહેરનામા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગણેશ ઉત્સવ માટે રેલી યોજવી પડે તે કેટલું યોગ્ય ? એવા અનેક સવાલો ઉભા કર્યા હતા. કેમ માત્ર ગણેશ ઉત્સવ, દશામાં જેવા હિન્દુ તહેવારોમાં જ પાબંધી લાદવામાં આવે છે ?. આ રજુઆત બાદ ભાજપ-કોંગ્રેસના અનેક કોર્પોરેટર દ્વારા તેમાં સુર પુરવ્યો હતો. આમ, ભાજપના કોર્પોરેટર દ્વારા પાલિકા અને તંત્રના નિર્ણયો સામે અણિયારા સવાલો ઉઠાવીને વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવતી હોય તેવું એક તબક્કે જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વટવૃક્ષ ધરાશાયી થતા વાહનોનો ખુરદો બોલી ગયો