Ahmedabad: પથરીના દર્દીઓ માટે ખુશીના સમાચાર, હવે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના થશે સારવાર
- પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે જુની થઈ!
- વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે
- 47 દિવસમાં ઓપરેશન વિના જ 100 જેટલા દર્દીઓની સારવાર થઈ
Ahmedabad: પથરીના દર્દથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. જો તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો. કારક કે, હવે તેનો હલ આવી ગયો છે. જો પથરી થાય તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે કોઈ પણ પ્રકારના વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. જે સંપુર્ણપણે પેઇનલેસ પણ છે.
47 દિવસમાં ઓપરેશન વિના જ 100 જેટલા દર્દીની સારવાર
નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવાર શરૂ થયાના 47 દિવસમાં ઓપરેશન વિના જ 100 જેટલા દર્દીઓની પથરીની સમસ્યા નિવારવામાં આવી. આમ, રોજના સરેરાશ બે પેશન્ટની સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 100 દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે. જેમાં પણ 89% દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ. 11 % કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી.
અત્યાર સુધી કુલ 100 દર્દીઓની પથરીની સારવાર થઈઃ ડૉ. શ્રેણીક શાહ
સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી કુલ 100 દર્દીઓની પથરીની સારવાર આ પદ્ધતિથી કરી છે. 100 દર્દીઓના કિડની અને મૂત્રવાહિનીના પથ્થરોને Extracorporeal Shock Wave Lithotripsy (ESWL)ની મદદથી સફળતાપૂર્વક સારવાર આપી. જેમાં 03 વર્ષથી લઇ 80 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ 100 દર્દીઓમાં 72 પુરુષ દર્દી તેમજ 28 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.
03 વર્ષથી લઇ 80 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 24 દર્દીઓમાં 10mm (મિલીમીટર) સાઇઝની, 52 (બાવન) દર્દીઓમાં પથરીની સાઇઝ 10થી 15mm તેમજ 16 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 100 દર્દીઓમાંથી 39 દર્દીઓમાં પથરી કીડનીમાં હતી, જ્યારે 32 દર્દીમાં મૂત્રવાહિનીના શરૂઆતના ઉપરના પેલ્વીસના ભાગમાં તથા 27 દર્દીઓમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી. આ તમામ 100 દર્દીઓની સંપૂર્ણપણે પથરી દૂર થઈ છે.
આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ અભિગમ, આ દિવ્યાંગ ખેલાડીઓને આપશે નોકરી
આના માટે કોઈ કાપાની જરૂર પડતી નથીઃ ડૉ. શ્રેણીક શાહ
ડો. શ્રેણીક શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ પદ્ધતિથી સારવારના દર્દીઓ માટે મુખ્ય ફાયદાએ છે કે, કોઈ કાપાની જરૂર નથી, દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ 01થી 02 કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે, સારવારનું ઓછું જોખમ હોય છે. ઓછો દુખાવો, ચેપનું ઓછું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.
આ પણ વાંચો: Deodar: ઓગડ જિલ્લાની માગ અંગે સૌથી મોટા સમાચાર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું મોટું નિવેદન
લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ ₹. 10થી 15 હજાર
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ ₹. 10થી 15 હજાર થાય છે. જે સિવિલ હોસ્પિટલમાં ખુબ જ નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. દર્દીઓ માટે આ નવી સગવડ સરકારી આરોગ્ય ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં છેવાડાના ગરીબ દર્દી માટે લિથોટ્રીપ્સી જેવી આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારના આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવાના ધ્યેયને સાબિત કરે છે. અમે વધુમાં વધુ દર્દીઓ સુધી આ સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. કિડ્ની તેમજ મૂત્રમાર્ગમાં રહેલી પથરીની ઓપરેશન વગર સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ હોસ્પિટલમાં આવેલાયુરોલોજી વિભાગમા સંપર્ક કરવાનો રહેશે.