આવતીકાલે મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ શરુ, જાણો ટ્રેન કરતાં ફ્લાઇટ કેટલી સસ્તી
આવતીકાલે 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. 'ગુજરાત ફર્સ્ટ'ને મળેલી ખાસ માહિતી મુજબ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા મુંબઇથી પહેલી ફ્લાઇટમાં કેશોદ આવશે. કેશોદ એરપોર્ટ પર યોજાયેલા સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
એલાયન્સ એરની પહેલી ફ્લાઇટ આવતીકાલે 16 એપ્રિલે મુંબઇથી કેશોદ રવાના આવશે જેમાં જયોતિરાદીત્ય સિંધીયા ઉપરાંત ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી રાજીવ બંસલ તથા જોઇન્ટ સેક્રેટરી ઉષા પાધી ઉપરાંત એઆઇએએચએલના સીએમડી વિક્રમદેવ દત્ત તથા એએઆઇના ચેરમેન સંજીવ કુમાર પણ જોડાશે.તેઓ મુંબઇથી ફ્લાઇટ દ્વારા કેશોદ આવ્યા બાદ કેશોદ એરપોર્ટ પર બપોરે 2 વાગે ફ્લાઇટ લેન્ડ થશે.ત્યારબાદ કેશોદ એરપોર્ટ પર ભવ્ય સમારોહ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. વળતી ફ્લાઇટ કેશોદથી મુંબઇ બપોરે સાડા ત્રણ વાગે ઉપડશે જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરશે. 17 એપ્રિલથી ફ્લાઇટનું બુકિંગ શરુ થશે. એલાયન્સ એરની વેબસાઇટ પણ લોંચ થઇ છે અને તેના થકી બુકિંગ કરાવી શકાશે. ટિકીટનો ભાવ 2700 રુપિયા રાખવામાં આવ્યો છે. ફ્લાઇટ બુધ શુક્ર અને રવિ વચ્ચે ચાલશે.
સુત્રોએ કહ્યું હતું કે ફ્લાઇટની સુવિધાના કારણે લોકોને ટ્રેન કરતાં ફ્લાઇટની મુસાફરી સસ્તી અને ઝડપી મળી શકે છે. અત્યારે વેરાવળથી મુંબઇની એસી કોચની ટિકીટ 3000 રુપીયાની આસપાસ છે અને 18 કલાકનો સમય લાગે છે જયારે તેનાથી ઓછી કિંમતમાં માત્ર 1 કલાકમાં ફ્લાઇટ દ્વારા મુંબઇ પહોંચી શકાશે. સેકન્ડ એસીનો ભાવ પણ 1900 રુપીયાની આસપાસ છે જેથી તે પ્રવાસીઓને પણ ફાયદો થઇ શકે છે. ઉડાન સ્કીમ મુજબ 70 બેઠકની ફ્લાઇટમાં 35 બેઠકો પર તેનો લાભ પ્રવાસીઓને મળી શકે છે.
સુત્રોએ કહ્યું હતું કે 70ની કેપીસીટીનું એટીએર એરક્રાફ્ટ હશે જે મુંબઇ-કેશોદ-મુંબઇ વચ્ચે ઉડાન ભરશે. અઠવાડીયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા ચાલું રહેશે. આ ફ્લાઇટ શરુ થવાના કારણે સોમનાથ મંદિરનમા દર્શને આવતા શ્રદ્ધાળુંઓ તથા ગીરના પ્રવાસીઓ અને વેરાવળ ઔધ્યોગીક હબ હોવાથી ઉધ્યોગકારોને ઘણો ફાયદો થશે. કેશોદ ગીર જંગલ અને સોમનાથ મંદિરની નજીકમાં હોવાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે મુંબઈ-કેશોદ ફ્લાઇટ સર્વિસ અત્યંત ફાયદાકારક સાબિત થશે. એલાયન્સ એર સેક્ટરમાં 70 સીટર ATR એરક્રાફ્ટ તૈનાત કરશે. આ ફ્લાઇટ ટિકિટ દર UDAAN યોજના હેઠળ આવરી લેવામાં લેવાયા છે.