અદાણી કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓ ઝૂકવા નથી તૈયાર!
Kutch : કચ્છના અબડાસા તાલુકામાં આવેલા સાંઘીપુર ખાતે અદાણી સિમેન્ટ (સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ)ના કર્મચારીઓના ધરણાને આજે ત્રીજો દિવસ છે. કંપનીના ગેટ સામે 300થી વધુ કર્મચારીઓએ પોતાની માગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે, જેમાં 18 કર્મચારીઓની નોકરી પાછી આપવા અને કાયમી નોકરીની લેખિત ખાતરીનો સમાવેશ થાય છે. આ ઘટનાના કારણે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, અને કર્મચારીઓએ યોગ્ય જવાબ ન મળે તો આગળના દિવસોમાં તીવ્ર આંદોલનની ચીમકી આપી છે.
કંપની તરફથી જવાબ મળ્યો નહીં, કર્મચારીઓ નારાજ
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે મેનેજમેન્ટ સાથે વાતચીત માટે બોલાવાયા હતા અને સમસ્યાનું સમાધાન થવાની આશા હતી. જોકે, રાત સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. જેથી આજે ફરી એકવાર તેઓ કંપનીના ગેટ સામે ત્રીજા દિવસે પણ ધરણા પર બેસી રહ્યા છે. આંદોલન કરી રહેલા કર્મચારીઓએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે તેમને લેખિત ખાતરી આપવામાં આવે કે છુટા કરાયેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવામાં આવશે અને કાયમી કરવામાં આવશે. તેમનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસનથી કામ નહીં ચાલે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં “આશ્ચર્યજનક કાર્યક્રમો” અમલમાં મૂકવાની ચિમકી પણ આપી છે.