VADODARA : દોઢ મહિનામાં 12 હજારથી વધુ મહિલાઓ પ્રાકૃતિક કૃષિથી તાલિમબદ્ધ
VADODARA : સમગ્ર રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી એ સમયની માંગ છે. વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેના વિવિધ આયામોની તાલીમ આપવા માટે જિલ્લાની 536 ગ્રામ પંચાયતોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ આપવામાં આવી
ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને તે માટે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક તાલીમ મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લામાં ૩૬,૮૮૧ પુરુષ અને ૧૨,૧૪૭ મહિલા સહિત કુલ ૪૯ હજાર ઉપરાંત ખેડૂતોને છેલ્લા દોઢ મહિનામાં (તા. ૦૧ જૂનથી તા. ૧૫ જુલાઈ સુધી) પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.
ખેતી કરતા નિપૂણ ખેડૂત
વડોદરા જિલ્લાના તમામ ગામડાંઓ માટે ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવાયા છે. ૧૦ ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત; કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને 'માસ્ટર ટ્રેઈનર' બનાવ્યા છે તે અને સાથે આત્મા-કૃષિ વિભાગના એક નિષ્ણાત પ્રતિનિધિ, બંને પોતાને ફાળવાયેલા ૧૦ ગામોમાં ખેડૂતોને વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે.
પ્રત્યક્ષ પ્રયોગિક જ્ઞાન
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ વિષયો જેવા કે જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક અને સપ્તધાન્યાંકુર અર્ક વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. વધુમાં કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગરની અને સ્થાનિક ખેત સામગ્રીથી જ એક દેશી ગાયના ગૌ-મૂત્ર અને છાણ દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન નહિવત ખર્ચે કરવાના સિદ્ધાંત આધારિત આ ખેતી પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તભો છે. રાજયના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય અને તે અંગેની ઝીણવટપૂર્વક તમામ માહિતી પ્રત્યક્ષ પ્રયોગિક જ્ઞાન સાથે મેળવી શકે એ તાલીમનો ઉદ્દેશ્ય હોય છે.
આ પણ વાંચો -- VADODARA : ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીનું આગમન ગરબા સાથે વધાવાશે