Umesh Pal Murder Case : અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ભાગેડુ જાહેર, યૂપી પોલીસે ઘરે નોટિસ લગાવી
ઉત્તર પ્રદેશ પોલીસે ઘણા મહિનાઓથી ગૂમ થયેલી અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીનને ગુનેગાર જાહેર કરી છે. યૂપી પોલીસ દ્વારા તેના ઘરે નોટિસ પણ લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના મૃત્યુ બાદ શાઈસ્તા પરવીન પહેલેથી જ ગૂમ છે. જણાવી દઈએ કે અતીક અહેમદની હત્યા બાદ પણ તેની પત્ની શાઈસ્તા પરવીન તેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ ન હતી. યૂપી પોલીસે તેના પર ઈનામ પણ રાખ્યું હતું, પરંતુ હજુ સુધી શાઈસ્તા પરવીનનો કોઈ પત્તો મળ્યો નથી.
શાઇસ્તા આર્થિક તંગીનો સામનો કરી રહી છે
જો કે આ દરમિયાન અતીક અહેમદ અને તેના ભાઈની સંપત્તિના કબજાને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પોલીસ અતીક અહેમદની પત્ની શાઇસ્તા અને તેના ભાઈ અશરફની પત્ની ઝૈનબને સતત શોધી રહી છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રિપોર્ટ અનુસાર, અતીક અહેમદની બેનાની પ્રોપર્ટીને લઈને લખનૌની એક હોટલમાં મોટી ડીલ થવાની હતી, જેના માટે પોલીસે હોટલ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અતીક અહેમદના વકીલ વિજય મિશ્રા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન તેણે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.
પોલીસને વકીલ વિજય મિશ્રા પાસેથી જાણવા મળ્યું કે શાઈસ્તા અને ઝૈનબ આર્થિક સંકટનો સામનો કરી રહી હતી અને તેમને પૈસાની સખત જરૂર હતી. આ જ કારણ છે કે હોટલમાં બેનામી પ્રોપર્ટી વેચવાનો સોદો વકીલ મારફત કરવામાં આવી રહ્યો હતો. બંને આ પ્રોપર્ટી વેચીને દેશની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ પ્લાનમાં અતીક અહેમદના વકીલ વિજય મિશ્રા પણ સામેલ હતા.
અતીકની મિલકત ખરીદવા કોઈ તૈયાર નથી
જોકે, આ પ્રોપર્ટી વેચવામાં સૌથી મોટી સમસ્યા એ હતી કે યૂપીનો કોઈ બિઝનેસમેન અતીક અહેમદની બેનામી પ્રોપર્ટી ખરીદવા તૈયાર નહોતો. આ કારણોસર એડવોકેટ વિજય મિશ્રાએ નેપાળમાં રહીને ભારતમાં કારોબાર ચલાવતા માફિયાઓનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટ અનુસાર, વકીલે નેપાળમાં રહેતા માફિયા સાથે પણ સોદો કર્યો હતો અને તે પ્રોપર્ટી ખરીદવા તૈયાર હતો. વિજય મિશ્રાએ પ્રોપર્ટીની તસવીર અને વીડિયો સાથે જરૂરી દસ્તાવેજો નેપાળના તે માફિયાને વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. આ પછી જમીનનો સોદો કન્ફર્મ થયો.
આ પણ વાંચો : PM મોદીને ગળે લગાડવાથી લઈને સિંધિયાને આંખ મારવા સુધી… લોકસભામાં રાહુલ ગાંધીની 5 પ્રખ્યાત મોમેન્ટસ