IPL2023 : કેપ્ટન હાર્દિક અને કોચ નેહરાની ભૂલને કારણે ગુજરાતની ટીમ ફાઇનલમાં હારી - સુનીલ ગાવસ્કર
IPL 2023 પછી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો હજુ પણ આ ટૂર્નામેન્ટના ઉત્સાહમાં ડૂબેલા છે. દરેક વ્યક્તિ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી સારી અને ખરાબ યાદો વિશે વાત કરી રહ્યા છે. તે દરમિયાન પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાની ભૂલને કારણે ગુજરાત ફાઈનલ હારી ગયું. ગાવસ્કરે આ વાત મેચની છેલ્લી ઓવરના સંદર્ભમાં કહી છે. આ ઓવરના છેલ્લા બે બોલમાં ચેન્નાઈએ 10 રન બનાવીને જીત મેળવી હતી.
સુનીલ ગાવસ્કરે શું કહ્યું...
સુનીલ ગાવસ્કરના મતે છેલ્લી ઓવરમાં હાર્દિકે બોલર મોહિતને સલાહ આપી તે સારી વાત નથી. કારણ કે, જ્યારે બોલર લયમાં હોય છે ત્યારે તે તેને પરેશાન કરવો જોઇએ નહી. તમારે માત્ર દૂરથી જ વાત કરવી જોઈએ. જેથી તેનો લય ન બગડે અને તેના મગજમાં કોઇ માનસિક દ્વંદ શરૂ ન થાય. મોહિતે 3-4 બોલમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પછી કોઈ કારણસર ઓવરની વચ્ચે જ તેને પાણી મોકલવામાં આવ્યું હતું. આ પછી હાર્દિક આવ્યો અને તેણે મોહિત સાથે વાત કરી હતી.
મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 96 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ સાહાએ પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. ચેન્નાઈએ બેટિંગ શરૂ કરી તે પછી ત્રણ બોલમાં વરસાદ પડ્યો અને જ્યારે બીજી વખત રમત શરૂ થઈ ત્યારે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આવી સ્થિતિમાં કોનવે અને ઋતુરાજે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને એક જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા, પરંતુ શિવમ દુબે અને અજિંક્ય રહાણેએ ચેન્નાઈને મેચમાં જાળવી રાખ્યું હતું. અંતમાં રાયડુએ સારી ઈનિંગ રમીને ટીમને જીતની નજીક લઈ ગઈ હતી.
આ પણ વાંચો : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?