ભૂજના સુખપરમાં ઉજવાય છે ગોબરમય ગણેશ ઉત્સવ, મહા આરતીમાં પણ ગાયના પવિત્ર ગોબરથી બનેલી ધુપબત્તીનો ઉપયોગ
ગણેશોત્સવમાં ઠેર-ઠેર અતિ ભવ્ય અને ખર્ચાળ આયોજનો થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય માણસ તેમાં પોતાની સહભાગીતા કે સહયોગ ભાગ્યે જ નોંધાવી શકતો હોય છે. આવા સમયે ભુજની બાજુના ગામ મદનપુર-સુખપર ખાતે હરી ગ્રુપ આયોજિત ફળીયાં ગણેશોત્સવએ આજુબાજુના વિસ્તારમાં સારું આકર્ષણ જમાવ્યું છે.
ઘણા વર્ષથી થતાં આ આયોજનમાં ચાલુ વર્ષે ગોબરની થીમ ઉપર કંતાનમાં દેશી ગાયનાં ગોબરનું લીપણ અને રેખા ચિત્રોથી ગાય, સુર્ય, ઓમ અને રંગોળીની ડિઝાઇનના ભીંત ચિત્રોએ અલગ જ સાત્વિક આકર્ષણ ઉભું કર્યું છે.
અન્ય વિશેષતામાં આયોજકો દ્વારા મુખ્ય સ્થાપનમાં ગોબરના ગણપતી, મહા આરતીમાં પણ ગાયના પવિત્ર ગોબરથી બનેલ ધુપબત્તીનો ઉપયોગ અને અન્નકુટમાં પણ ચોકલેટ કે કેક સહિતની દરેક બનાવટ સંપુર્ણ વર્જીત ગણીને આ વિસ્તારના બહેનો પોતાનાં ઘરે બનાવેલ વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને ભોગ ધરાવે છે. દરરોજ આરતી પછી નાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે તેમને પણ ભેટમાં વિવિધ ઇનામો આપવામાં આવતાં હોવાનું આયોજનમાં મુખ્ય સંકલન કરતા વાલજીભાઈ હાલાઇ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું