અમે 9/11 માં ભૂલ કરી તમે તેવું ન કરશો, US રાષ્ટ્રપતિ બાઈડેનની ઈઝરાયેલના વડાપ્રધાનને સલાહ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ બે અઠવાડિયાથી યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ યુદ્ધના કારણે સામાન્ય નાગરિકો તેનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગઈકાલે બુધવારના રોજ અમેરિકાના જો બાઈડેન ઈઝરાયેલ પહોંચ્યા હતા અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા. જ્યા પહોંચી તેમણે નેતન્યાહૂ સાથે લાંબા સમય સુધી યુદ્ધના મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન બાઈડેને ઈઝરાયલને ગુસ્સામાં આવીને કોઇપણ બિનજરૂરી પગલું ન ભરવાની સલાહ આપી છે.
9/11 ને યાદ કરતા બાઈડને જાણો શું કહ્યું ?
હમાસના ઘાતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓથી હતાશ થઈને પેલેસ્ટિનિયનો પોતાના માટે આશ્રય શોધી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલ પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું, "9/11 પછી ગુસ્સામાં અમેરિકાએ કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરો." બાઈડેને તેની મુલાકાત દરમિયાન કહ્યું, "હું ચેતવણી આપું છું કે જ્યારે તમે તે ગુસ્સો અનુભવો છો, ત્યારે તેનાથી પ્રભાવિત થશો નહીં." જો બાઈડેને કહ્યું, 9/11 પછી અમે અમેરિકનો ગુસ્સામાં હતા. જ્યારે અમે ન્યાય માંગ્યો અને મળ્યો ત્યારે અમે પણ ભૂલો કરી. તેમણે આગળ કહ્યું કે, હું પોતે અહીં આવીને બતાવવા માંગતો હતો કે અમે ઈઝરાયેલ સાથે છીએ. હમાસે ઈઝરાયેલના લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તેઓ ISIS કરતા પણ ખરાબ છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આમાં અમેરિકા તેમને દરેક રીતે સાથ આપશે. અમે અમારું વચન પાળીએ છીએ.
9/11 પછી અમે ઘણી ભૂલ કરી હતી : જો બાઈડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલીઓને તેમના સૌથી ઘાતક હુમલાનો ભોગ બન્યા બાદ ગુસ્સાથી આંધળા ન થવાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સે 9/11 પછી ભૂલો કરી છે. સાંજે અમેરિકા જતા પહેલા તેમણે તેલ અવીવમાં ભાષણ આપ્યું હતું. કહ્યું- હું ફરીથી કહેવા માંગુ છું કે ઈઝરાયેલ અને તેમના લોકોએ પોતાને એકલા ન ગણવા જોઈએ. અમેરિકા તમારી સાથે છે. ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે થયેલો હુમલો 9/11 કરતા પણ મોટો છે. આ બહુ નાનો દેશ છે, અને એક જ હુમલામાં હજારો લોકો માર્યા ગયા હતા. બાઈડેને નેતન્યાહુ સાથેની મુલાકાત અને આ ભાષણ પછી મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે, પત્રકારો તેમને ઘણા પ્રશ્નો પૂછવા માંગતા હતા.
નેતન્યાહુએ US રાષ્ટ્રપતિને આશ્વાસન આપ્યું
અમેરિકાની સલાહ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આશ્વાસન આપ્યું છે કે, તેમનો દેશ ગાઝાના નાગરિકોને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. જો બાઈડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા. બેઠક દરમિયાન નેતન્યાહુએ બાઈડેનને કહ્યું કે ઈઝરાયેલ તેના ગાઝા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ ટાળવાનો પ્રયાસ કરશે. જો કે, હમાસની રણનીતિને ટાંકીને ઈઝરાયેલે આને એક પડકારજનક કાર્ય ગણાવ્યું હતું. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, “આ એક અલગ પ્રકારનું યુદ્ધ છે, કારણ કે હમાસ એક અલગ પ્રકારનો દુશ્મન છે. જેમ જેમ અમે આ યુદ્ધમાં આગળ વધીશું તેમ, ઈઝરાયેલ નાગરિકોને નુકસાનના માર્ગથી દૂર રાખવા માટે તમામ પ્રયાસો કરશે.” જો બાઈડેન ઈઝરાયેલ-હમાસ યુદ્ધને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાતા અટકાવવા અને પેલેસ્ટિનિયનો સુધી પહોંચવા માટે માનવતાવાદી સહાયને પ્રોત્સાહિત કરવા માટે તાત્કાલિક મિશન પર ઇઝરાયેલની મુલાકાત લીધી છે.
આ પણ વાંચો - Israel-Hamas યુદ્ધ બન્યું વધુ આક્રમક, ગાઝાની હોસ્પિટલ પર થયો હવાઈ હુમલો, 500 લોકોના મોતનો દાવો
આ પણ વાંચો - Israel Hamas War : જોર્ડને બેઠક રદ કરી, ઈરાન-તુર્કીએ ચેતવણી આપી… ગાઝા હોસ્પિટલના હુમલાએ બિડેનની મુશ્કેલી વધારી…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે