આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup 2023 ની સૌથી હાઈ વોલ્ટેજ મેચ, ટોસ બંને ટીમો માટે રહેશે ખાસ
ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે. તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ પોતાની બંને મેચ જીત્યા બાદ ભારત વિરુદ્ધ જીતવા માટે પૂરી રીતે તૈયાર છે. જોકે, ભારતમાં ટીમ ઈન્ડિયાને હરાવવું પાકિસ્તાન માટે કપરા ચઢાણ બરોબર રહેશે. કાગળ પર ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન કરતા વધુ મજબૂત લાગે છે. ભારતીય બેટિંગ ક્રમમાં ઊંડાણ છે અને મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં દેખાય છે.
સ્ટેડિયમમાં એક લાખથી વધુ ચાહકો પહોંચવાની સંભાવના
વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે પહેલો મુકાબલો છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવા જઇ રહ્યો છે. આ મેચ માટે સ્ટેડિયમથી લઈને હોટલ હાઉસફૂલ થઇ ગયા છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ ચાહકો પહોંચે તેવી અપેક્ષા છે. શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સાજો થઈ ગયો છે અને બે મેચ ચૂક્યા બાદ જોરદાર વાપસી કરવાના મૂડમાં હશે. ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે પરંતુ ક્રિકેટ મેચ ખોરવાઈ જાય તેવું કોઈ ઈચ્છતું નથી. ભારતની પ્લેઈંગ ઈલેવન પિચ પર ઘણો નિર્ભર રહેશે. જો પિચ બેટિંગ માટે અનુકૂળ હોય તો શાર્દુલ સારો વિકલ્પ છે પરંતુ જો બોલ થોડો પણ અટકે તો અશ્વિન લાંબી બાઉન્ડ્રી લાઈન સાથે વધુ વ્યવહારુ વિકલ્પ હશે. મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે.
કઈ ટીમે ક્યારે ટોસ જીત્યો?
વર્લ્ડ કપ 1992 - ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 1996 - ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 1999 - ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 2003 - પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 2011 - ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 2015 - ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
વર્લ્ડ કપ 2019 - પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
મેચમાં ટોસ રહેશે ખાસ
આજે ભારત કે પાકિસ્તાન જીતની હેટ્રિક કરશે તે એક મોટો પ્રશ્ન છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમો 2-2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં, આજે એક ટીમ જીતની હેટ્રિક લગાવશે, જ્યારે બીજી ટીમને ટૂર્નામેન્ટની પ્રથમ હારનો સામનો કરવો પડશે. ભારત અને પાકિસ્તાનની આ મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે. જ્યારે તેનો ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે 01:30 થી 01:40 ની વચ્ચે કરવામાં આવશે. અમદાવાદની પિચ હંમેશા બેટ્સમેનો માટે યોગ્ય માનવામાં આવે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 29 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 16 મેચ જીતી છે અને પીછો કરતી ટીમે 13 મેચ જીતી છે. જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ ઝાકળ વધશે અને બાદમાં બોલિંગ ટીમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે આજે મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે, જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા માંગશે.
આ પણ વાંચો - એવું શું થયું કે પાકિસ્તાની એંકરે ભારતીય ફેન્સની માંગવી પડી માફી ?
આ પણ વાંચો - World Cup 2023 : સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો, કોઇએ ન રોક્યો…! જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે