Surat: 'જનભાગીદારીથી જળસંચય' ના 27, 300 કામોનું ઈ-ખાતમૂહુર્ત કરતા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ
- સુરત ખાતે જન ભાગીદારી જળ સંયય કાર્યક્રમ યોજાયો
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત
- જળસંચયના 27 હજાર 300 કરોડના કામોનું ખાતમુહૂર્ત
- PM મોદીના 'કેચ ધ રેઇન' યોજના અંતર્ગત લોકોને માર્ગદર્શન
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે 'જનભાગીદારીથી જળસંચય' અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલ વિવિધ ઔધોગિક સંસ્થાઓ અને ઉધોગોના કોર્પોરેટ સોશીયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ૨૭,૩૦૦ રેઈન વોટર હાવેંસ્ટિગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં જળશક્તિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની પાણીની સમસ્યાને સમજી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. પહેલા બહેનોએ દૂર સુધી ચાલતા માથા પર બેડા ઉચકીને પાણી ભરવા જવું પડતું હતું. દેશની બહેનોને પાણી ક્વોલિટી ચેક કરવા માટે સમગ્ર દેશના પાંચ લાખ ગામોમાં બહેનોને ટ્રેનિંગની સાથે કીટ આપવામાં આવી છે. જેનાથી પાણીની ક્વોલિટી ચેક કરવાની જવાબદારી બહેનો સુપેરે નિભાવી રહી છે. અશુધ્ધ પાણીને કારણે બાળકોના મુત્યુ થતા હતા જેમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. વડાપ્રધાનની પાણીની અનેક યોજનાઓને કારણે પરિવારજનોના આરોગ્યમાં સુધારો થયો છે.
વધુમાં પાટીલે કહ્યું હતું કે, દરેક ઘરમાંથી બાળકો, વડીલો બિમાર થતા ત્યારે બિમારી પાછળ પરિવાર દીઠ અંદાજીત ૫૦ હજાર ખર્ચ થતો હતો. પાણીની જરૂરીયાત મુજબ માનવ જીવન, ખેતીમાં સિંચાઈ, ઈન્ડસ્ટ્રીઝના વપરાશ, કોમ્યુનિટી માટે સમગ્ર દેશમાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા પાણી પીવા લાયક છે. વિશ્વની વસતી સામે ૧૮ ટકા વસતી આપણા દેશમાં છે. અને સમગ્ર વિશ્વમાં પશુધન સરખામણીએ આપણા દેશમાં ૧૮ ટકા પશુધન છે. ચાર ટકા પાણીનો સદઉપયોગ થાય તો કોઈ પણ પાણી વગર ક્યારેય નહી રહે તે વ્યવસ્થા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. તેના સારા પરિણામ આપણને જોવા મળી રહ્યા છે. દેશનું ૮૩ ટકા પાણી ખેતી, ૧૪ ટકા પાણી કોલોની અને અઢી ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં માટે ઉપયોગ થાય છે.
તેમણે કહ્યું કે, પાણીના ગુણધર્મ મુજબ ૧૦૦ ફૂટ બોરમાં વરસાદી પાણી ઉતારશો અને તેમાંથી જ્યારે પણ પાણી લેશો તે તેના મૂળભૂત ગુણધર્મ પ્રમાણે જ મળશે. ગઈકાલ સવાર સુધીમાં સમગ્ર દેશમાં ૮.૫૫ લાખ રેઈન વોટર હાર્વેસ્ટીંગના સ્ટ્રક્ચર બન્યા છે. દેશમાં સામાજિક સંસ્થાઓ, ઔધોગિક એકમોના સહયોગ, શ્રમદાન થકી મોટી સફળતા મળી છે. આગામી ૩૧ મે સુધીમાં દસ લાખથી વધુ રેઈન હાર્વેસ્ટીંગના સ્ટ્રક્ચર પૂર્ણ થશે તેવો જળશક્તિમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, જળ સંચય જન ભાગીદારી ‘કેચ ધ રેન’ અભિયાન સમગ્ર દેશમાં સાકાર કરનાર કેન્દ્રીય જળશક્તિમંત્રીના સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. હજીરા વિસ્તારના ઔધોગિક એકમોના CSR ફંડના વોટર રિચાર્જના કામો થવાના છે. ગામનું પાણી ગામમાં અને ખેતરનું ખેતરમાં રહે તેમજ વરસાદી પાણીનું એક પણ ટીપું પાણી વહી ન જાય તે માટે સમગ્ર દેશમાં જળ સંચય માટે ‘કેચ ધ રેન’ અભિયાન એ જન આંદોલન બન્યું છે.
આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મોરાગામ સરપંચ, જિ.પં.સભ્યો, તા.પં.સભ્યો, હોદ્દેદારો, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.