સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં આજે સમગ્ર રાજસ્થાનમાં સજ્જડ બંધનું એલાન, દેશભરમાંથી રાજપૂત નેતાઓ જયપુર પહોંચ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જયપુરમાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને બપોરે ગોળી મારી હતી અને ફરાર થયા હતા. આ હત્યાકાંડ પછી સમગ્ર રાજસ્થાનમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.
હત્યાકાંડ બાદ સમગ્ર રાજપૂત સમાજમાં રોષ
ગોગામેડીની હત્યાને લઈને રાજપૂત સમુદાયના સંગઠનોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે બુધવારે જયપુર સહિત સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું છે. મંગળવારે રાતે કેટલાક સંગઠનો પાટનગર જયપુરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ તેમણે ગોગામેડીની હત્યા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને હુમલાખોરોની જલદી ધરપકડ કરી ન્યાયિક તપાસની માગ કરી હતી. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યૉર્જ જોસેફે જણાવ્યું હતું કે,‘સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી લાગ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફાયરિંગની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યા હતા.’ તેમણે વધુમાં કહ્યું કે,‘તેમની પાસે ઊભેલા સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હતી. તેઓ પણ આઈસીયુમાં ભરતી છે. આ ગોળીબારમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.’
જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં આજે બંધનું એલાન
આજે એટલે કે બુધવારે જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી રાજપૂત નેતાઓ જયપુર આવી રહ્યા છે. જયપુરમાં હાલની સ્થિતિને જોતા રાજસ્થાનના ડીજીપી દ્વારા ગોગામેડીની હત્યાને લઈને પોલીસ વિભાગને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ડીજીપી ખુદ સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જ્યારે રાજસ્થાન પોલીસ પણ હુમલાખોરોની ધરપકડ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. જયપુરમાં હત્યાના વિરોધમાં રાજપૂત સમાજના લોકો ધરણાં પર બેઠા છે અને વિરોધ પ્રદર્શન સાથે ન્યાયની માગ કરી રહ્યા છે. રવિવારે રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ સરકાર બનાવવા જઈ રહેલા ભાજપના નેતાઓએ હત્યારાઓને કડક સજાની માગ કરી છે. જ્યારે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
Rajasthan | Members of the Rajput community sit in protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, in Jaipur
The Rajput community outfits supporting Sukhdev Singh Gogamedi have called for a state-wide bandh today pic.twitter.com/T0FTFVJMSm
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 6, 2023
શાળાઓને બંધ રાખવાની સૂચના
રાજસ્થાનના રાજપૂત સમાજની સાથે સાથે તમામ સમાજના સંગઠનોએ આ હત્યાકાંડ સામે રોષ વ્યક્ત કર્યો છે. વિરોધ સ્થળેથી જ સમગ્ર સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. જયપુરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી સંસ્થાઓએ પણ બંધને સમર્થન આપતા બંધની માહિતી આપી છે. બુધવારે શાળાઓને બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો- રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાને લઈ વિરોધ પ્રદર્શન શરૂ, શું કહ્યું રાજ શેખાવતે?