મુશળધાર વરસાદથી વેરાવળ દરિયો બન્યું, NDRF ની ટીમ દ્વારા 100 થી વધુ લોકોના જીવ બચાવાયા, Video
રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારેવેરાવળમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 6થી 12 વાગ્યા સુધીમાં 107 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે વેરાવળ ભાલકા મંદિર પાસે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં NDRF ની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જિલ્લાના તાલાલા, વેરાવળ ધોધમાર વરસાદ સાથે સુત્રાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ વરસ્યો હતો.
મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ ગઇ કાલે સવારથી જ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલા ચારેય તાલુકાઓના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. કે જે દિવસ રાત ચાલુ રહેતા અંતે હાલમાં 20 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે.
તમને જણાવી દઈએ કે, વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
સૂત્રાપાડા અને પ્રાચીમાં અનાધાર વરસાદને કારણે પ્રાચી ખાતે આવેલી સરસ્વતી નદી ગાંડીતૂર બની હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૂત્રાપાડા તાલુકામાં ભયજનક સ્થિતિનું નિર્માણ થયું છે. એક પછી એક તમામ ગામો બેટમાં ફેરવાઈ રહ્યાં છે. સતત વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળ તાલુકા જળમગ્ન થયા છે.
આ પણ વાંચો : AHMEDABAD શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ