Gift City માં દારૂની છૂટ પર જાણો શું છે લોકોની પ્રતિક્રિયા
ગુજરાતમાં દારૂને લઈને રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલ Gift City માં દારૂથી મુક્તિ આપતો એક આશ્ચર્યજનક અને શરમજનક નિર્ણય કર્યો છે. જે બાદ ચો તરફ આ નિર્ણય પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ છૂટ પર સામાન્ય નાગરિકોનું શું મંતવ્ય છે આવો જાણીએ આ અહેવાલમાં...
સરકારના આદેશ બાદ શું છે સામાન્ય નાગરિકોની પ્રતિક્રિયા ?
ગાંધીના ગુજરાતમાં દારૂબંદી છે પણ શું આવનારા સમયમાં રહેશે? આ અંગે હવે રાજ્યના નાગરિકો ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ક્રાઈમ ઓછું છે જેનું સૌથી મોટું કારણ દારૂબંદીને ગણવામાં આવે છે. પણ ગઇ કાલે શુક્રવારના રોજ ગુજરાત સરકારના આદેશ બાદ સવાલ ઉભો થાય છે તે શું રાજ્યમાં ક્રાઈમ વધશે. જોકે, આ ચર્ચાનો વિષય ચોક્કસ છે પણ સામાન્ય નાગરિકો અત્યારથી જ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
શું છે સુરતવાસીઓની પ્રતિક્રિયા ?
સુરતવાસીઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, એક બાજુ દારૂબંદી બીજી બાજુ દારુની છૂટ ના હોવી જોઈએ. દારૂના કારણે ઘણા પરિવાર બરબાદ થાય છે, દારૂની ગંભીર અસર પડે છે. અહીંના નાગરિકોનું કહેવુ છે કે, દારૂની છૂટ મળવાથી લોકો વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરશે જેના કારણે કેન્સર, લિવર ફેલ થાય, કીડની ખરાબ થવાના કેસમાં વધારો થઇ શકે છે.
શું છે રાજકોટવાસીઓની પ્રતિક્રિયા ?
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે રાજકોટવાસીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુજરાત સરકારના આદેશ બાદ રાજકોટવાસીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. અહીના લોકોના જણાવ્યા અનુસાર, દુનિયામાં હાલ ગુજરાત વિકસિત છે વિદેશી ઉદ્યોગકારો ગુજરાતમાં આવે છે ત્યારે વિદેશીઓ પ્રવાસીઓને લઇ આ નિણર્યને આવકારવો જોઇએ. આ નિર્ણય બાદ ઇકોનોમિકમાં પણ વધારો થશે. વળી અહીં યુવાનોનું માનવું છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંદી હોવી જોઈએ. તેમનું કહેવું છે કે, આ નિર્ણય બાદ પરિવારમાં ઝઘડા અને દીકરી સુરક્ષાને લઇને પણ સવાલો ઉભા થશે. તો અમુક લોકોનું માનવું છે કે, બધે છૂટ આપવી જોઈએ જેથી પોલીસ કામગીરીમાં પણ ઘટાડો થશે. અને આમ પણ ગુજરાતમાં છાને ખૂણે લોકો દારૂ પીવે જ છે તો છૂટ આપવી જોઈએ.
શું છે ભાવનગરવાસીઓની પ્રતિક્રિયા ?
ગુજરાત સરકારના નિર્ણય બાદ ભાવનગરવાસીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાવનગરવાસીઓની આ નિર્ણય પર મિશ્ર પ્રતિસાદ છે. રાજકોટવાસીની જેમ ભાવનગરના લોકો પણ માને છે કે હાલ ગુજરાત વિકસિત છે વિદેશી ઉદ્યોગકારો ગુજરાતમાં આવે છે અને આ વિદેશી પ્રવાસીઓને લઇ નિણર્યને આવકારવો જોઇએ. તેમનું પણ કહેવું છે કે, આ નિર્ણય બાદ ઇકોનોમિકમાં પણ વધારો થશે.
શું છે વડોદરાવાસીઓની પ્રતિક્રિયા ?
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંદી હટાવવા મામલે વડોદરાના વેપારીઓનું કહેવું છે કે, સમગ્ર રાજ્યમાંથી દારૂબંદી હટી જવી જોઈએ. તેમણે કહ્યું કે, સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. દારૂબંદી હટવાથી ગુજરાત સરકારની રેવન્યુ વધશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પ્રવાસનને વેગ મળશે, વેપાર ઉદ્યોગોનો વિકાસ થશે. વડોદરાવાસીઓનું કહેવું છે કે, કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને 8 મહાનગર પાલિકા વિસ્તારમાંથી પણ દારૂબંદી હટાવી દેવી જોઈએ.
કોને મળી શકે છે દારૂ પીવાની મંજૂરી ?
જણાવી દઇએ કે, ગુજરાત સરકારના આદેશ મુજબ ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને માલિકોને આ માટે 'એક્સેસ પરમિટ' આપવામાં આવશે. આ ઉપરાંત, દરેક કંપનીના અધિકૃત મુલાકાતીઓને આ પરમિટ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અધિકૃત મુલાકાતીઓને તે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં હંગામી પરમિટ ધરાવતી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
Gujarat Government allows consuming liquor in hotels/restaurants/clubs offering “Wine and Dine” in Gujarat International Finance Tec-City (GIFT). Liquor Access Permit will be given to all the employees/owners working in the entire GIFT City. Apart from this, a provision has been… pic.twitter.com/tPpDbw3r5s
— ANI (@ANI) December 22, 2023
Gift City શું છે?
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં સ્થિત એક બિઝનેસ સિટી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેનું અંતર 20 કિલોમીટર છે. તેને ભારતનું પ્રથમ ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પણ કહેવામાં આવે છે. તેમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર પણ હશે. ગુજરાત સરકાર દ્વારા તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં 'ગિફ્ટ સિટી'નું સપનું જોયું હતું. ગયા વર્ષે PM મોદીએ અહીં ભારતના પ્રથમ આઈટી સર્વિસ સેન્ટર અને ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને હાઇટેક અને સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ તેની શરૂઆત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી, પરંતુ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સ્માર્ટ સિટી તરીકે બદલી નાખ્યું. જણાવી દઈએ કે 1960માં મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી અહીં દારૂબંધી લાગુ છે.
આ પણ વાંચો - ગાંધીના ગુજરાતમાં દારૂ ‘મુક્તિ’! ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈ સરકારનો મોટો નિર્ણય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ