Pahalgam Attack બાદ UN માં ભારતનું નિવેદન, 'આંતરરાષ્ટ્રીય એકતા આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સનું સબુત'
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ હાલમાં ભારતના પ્રતિનિધીએ સંયુક્ત રાષ્ટ્રમાં (INDIA IN UN) પોતાનું નિવેદન નોંધાવ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે એકતા દર્શાવી છે, તે આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સનું સબુત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું કે, 26/11 ના મુંબઈ હુમલા પછી પહલગામ આતંકવાદી હુમલો ભારતના નાગરિકો પરનો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અને આતંકવાદી ઘટનાઓનો ભોગ બનેલા લોકો, તેમના પરિવારો અને સમાજ પર શું પ્રભાવ પડે છે તે અમે સારી રીતે સમજીએ છીએ.
વૈશ્વિક સમુદાયે ભારતને ટેકો આપ્યો
સંયુક્ત રાષ્ટ્ર કાઉન્ટર-ટેરરિઝમ કાર્યાલય ખાતે આયોજિત 'વિક્ટિમ ઓફ ટેરરિઝમ એસોસિએશન નેટવર્ક' કાર્યક્રમમાં યોજના પટેલે કહ્યું, 'પહલગામ હુમલા પછી વૈશ્વિક સમુદાયે જે રીતે ભારતને ટેકો આપ્યો તેની અમે પ્રશંસા કરીએ છીએ.' નોંધનીય છે કે, પહલગામ હુમલા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિતના મહાનુભવોએ એકસૂરે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને ભારત પ્રત્યે એકતા દર્શાવી.
આ પણ વાંચો --- Pahalgam Attack બાદ પાકિસ્તાન ગૃહયુદ્ધની કગાર પર, સૈનિકોની પીછેહઠથી યુદ્ધ પહેલા હાર શરૂ