Encounter : જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદી ઠાર
ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. એલઓસી પર સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પોલીસને ચોક્કસ ઇનપુટ મળ્યું હતું
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસના ચોક્કસ ઇનપુટના આધારે, આજે સવારે માછિલ સેક્ટરમાં સેના સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જમ્મુ અને કાશ્મીર પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથ દ્વારા ઘૂસણખોરીના સંભવિત પ્રયાસ વિશે માહિતી આપી હતી.
છ કલાક સુધી ચાલ્યું ઓપરેશન
સરહદ પાસે સતર્ક સૈનિકો દ્વારા ઘૂસણખોરી જૂથને ટ્રેક કરીને પડકારવામાં આવતા જ આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ પછી એન્કાઉન્ટર થયું હતુ. સૈનિકોના પ્રારંભિક ગોળીબારમાં, બે ઘૂસણખોરો માર્યા ગયા હતા.આખરે 6 કલાકના લાંબા ઓપરેશન બાદ વધુ 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પોલીસ માર્યા ગયેલા તમામ આતંકવાદીઓની ઓળખ કરી રહી છે
સોશિયલ મીડિયા 'X' પર માહિતી આપતા જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે લશ્કર-એ-તૈયબાના ત્રણ વધુ આતંકવાદીઓ માર્યા ગયા, તેમની કુલ સંખ્યા 05 થઈ ગઈ છે. આ તમામ આતંકવાદીઓની ઓળખ મેળવવામાં આવી રહી છે.
આતંકવાદી જૂથોએ 16 લોન્ચ પેડ્સને ફરીથી સક્રિય કર્યા
અગાઉ, કુપવાડાના કેરન સેક્ટરની તેમની મુલાકાત દરમિયાન ડીજીપી જમ્મુ અને કાશ્મીર પોલીસએ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની મદદથી, એલઓસી પર પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા 16 લોન્ચ પેડ્સને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. ડીજીપીએ કહ્યું, "એલઓસીના આ ભાગની સામેના વિસ્તારમાં પીઓકેમાં 16 લૉન્ચ પેડ અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અને તેઓ સક્રિયપણે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સુરક્ષા દળો આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે,"
આ પણ વાંચો-- Delhi Crime : મિત્રતા, નગ્નતા અને બ્લેકમેલિંગ… સેક્સટોર્શન કરનાર ‘ACP’ ની ધરપકડ, જાણો કેવી રીતે કરતો કામ…