ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં, સાંજે CM કરશે વિશેષ પૂજા-આરતી
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા અને આરતી થશે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે.
આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
આવતી કાલે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.
પોલીસ દ્વારા રથયાત્રાની તાડમાર તૈયારી
રથયાત્રા માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વખતની રથયાત્રામાં પોલીસે થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વિલન્સ એટલે કે 300થી વધુ ડ્રોન અલગ અલગ વિસ્તારમાં રાખવાની પણ તૈયારી કરી લીધી છે. આ વખતે રથયાત્રામાં કોઈપણ સુરક્ષાના સંદર્ભે કચાસ ન રહી જાય તે માટે ગૃહ વિભાગે પણ અમદાવાદ પોલીસ સાથે સંકલન કર્યું છે. અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ અમદાવાદની રથયાત્રા માટે પોલીસ ફોર્સ લાવવામાં આવી છે
આ રૂટ પર રથયાત્રા નીકળશે
- સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
- સવારે 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
- સવારે 9.45 વાગ્યે- રાયપુર ચકલા
- સવારે 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
- સવારે 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
- બપોરે 12 વાગ્યે-સરસપુર
- બપોરે 1.30 વાગ્યે-સરસપુરથી પરત
- બપોરે 2 વાગ્યે-કાલુપુર સર્કલ
- બપોરે 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
- બપોરે 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
- બપોરે 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
- બપોરે 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
- સાંજે 5 વાગ્યે-ઘી કાંટા
- સાંજે 5.45 વાગ્યે-પાનકોર નાકા
- સાંજે 6.30 વાગ્યે-માણેકચોક
- રાત્રે 8.30 વાગ્યે-નિજ મંદિર પરત
આપણ વાંચો-અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ, શહેરમાં આટલા રૂટ રહેશે બંધ