BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે
BAPS SUVARNA MAHOTSAV: આજ રોજ અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ( NARENDRA MODI STADIUM)ખાતે BAPS સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ (BAPS SUVARNA MAHOTSAV)ઉજવવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની તૈયારી છેલ્લા આઠ મહિનાથી ચાલતી હતી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ભક્તિોનું ઘોડાપૂર જોવા મળશે.
મહોત્સવની તડામાર તૈયારી
આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. છેલ્લા ઘણા દિવસોથી આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી હતી કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ કરાયું હતું. પ્રમુખસ્વામી મહારાજે 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું, જેને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા હતા, પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ 2024માં યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમની વિશેષતાઓ
આ મહોત્સવમાં 30 દેશોમાંથી BAPSના કાર્યકરો આવશે. અને એક લાખથી વધુ કાર્યકરો તેમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયોના માધ્યમથી તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક લાખથી વધુ BAPS હરિભક્તોને સ્ટેડિયમમાં હાજર રહી સંબોધશે. આ કાર્યક્રમમાં 2,000 કલાકારો વિવિધ કળાની પ્રસ્તુતિ કરશે. BAPS સંચાલિત 40 થી વધુ કેમેરાના સુયોજન થકી વિશ્વભરમાં કાર્યક્રમનું પ્રસારણ થશે. કાર્યક્રમના સરળ સંચાલન માટે 10,000 સ્વયમ સેવકો ખડે પગે રહેશે.
છેલ્લા આઠ મહિનાથી કાર્યક્રમની તૈયારી થતી હતી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા BAPS ના સુવર્ણ મહોત્સવની તૈયારીઓ છેલ્લા આઠ મહિનાથી કાર્યકરો કરતા હતા. BAPS ને 1972માં પ્રમુખ સ્વામી મહારાજે સુઆયોજિત કરી વિશ્વભરમાં તેની કીર્તિ આજે પ્રસરી છે. આજના સુવર્ણ કાર્યકર મહોત્સવમાં મહંત સ્વામી સહિત BAPS ના સૌ અગ્રણી સંતો હાજર રહેશે. સાંજે પાંચ વાગે મહંત સ્વામી સ્ટેડિયમમાં પ્રવેશ કરતા કાર્યક્રમનો આરંભ થશે. કાર્યક્રમમાં વિવિધ ત્રણ થીમના કુત્રિમ વૃક્ષો રખાયા છે. મૂળે કાર્યક્રમમાં બીજ, ફળ અને વૃક્ષના વિવિધ થીમ પરથી કાર્યક્રમ પ્રદર્શિત થશે. સંતોના સંબોધન, મલ્ટી મીડિયા અને લાઈટ સાઉન્ડ થકી વિવિધ પ્રસ્તુતિ અને વિડિયો ફિલ્મની રજૂઆત થશે.
આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે
આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. 7 ડિસેમ્બરે સાંજે 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
જાણો સાંજનો કાર્યક્રમ
- સુવર્ણ કાર્યકર મહોત્સવ મૂળ સાંજે 05:00 કલાકે આરંભાઈ રાત્રે 08:30 કલાકે પૂર્ણ થશે.
- સ્ટેડિયમમાં બપોરે 01:30 કલાકે એક લાખ કાર્યકરોને પ્રવેશ કરાવશે.
- સાંજે 05:00 વાગે મહંત સ્વામીનો સ્ટેડિયમ ખાતે પ્રવેશ થશે.
- મહંત સ્વામીના પ્રવેશ બાદ સાંજે 05:20 કલાકે કાર્યક્રમ આરંભાશે.
- રાત્રે 08:30 સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, રજૂઆતો, પ્રવચન બાદ પૂર્ણાહુતિ થશે.
માત્ર પાંચ ટકા પાણીના ઉપયોગથી સ્ટેડિયમ સાફ કરાયું
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ચોખ્ખું રાખવામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેનું પણ ધ્યાન રખાયું છે. આ માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો, જેથી કુલ પાણીની સામે પાંચ ટકા પાણીનો ઉપયોગ કરીને સ્ટેડિયમની એક લાખ જેટલી બેઠક સ્વચ્છ કરી દેવાઈ.
મહંત સ્વામીના સ્વાગત વખતે પાંખડીઓનો રંગ પણ બદલાઈ જશે
BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'ની ઉજવણી માટે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે, ત્યારે ગુલાબની પાંખડીઓ સાથે તૈયાર કરેલા રસ્તા પરથી ખાસ વાહન પસાર થશે. તેમનું વાહન પસાર થાય ત્યારે એક વિશેષ ટેકનોલોજીની મદદથી ગુલાબી પાંખડીઓ ગોલ્ડન રંગમાં પરિવર્તિત થશે.