70 વર્ષ બાદ બ્રિટનને મળ્યાં નવા કિંગ, ન્યાય અને દયા સાથે શાસન કરવાનું આપ્યું વચન
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે શાહી તાજ પહેર્યો. રાજા ચાર્લ્સ સાથે, ક્વીન કોન્સોર્ટ કેમિલાને પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. શાહી તાજ પહેરતા પહેલા, તેમણે શપથ લીધા. આ શપથમાં તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિટનના તમામ લોકો પર ન્યાય અને દયાથી શાસન કરશે.
ખરાબ હવામાનની ચેતવણીઓ હોવા છતાં,કિંગનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો તે માર્ગ પર હજારો લોકોની ભીડ જામી હતી. બકિંગહામ પેલેસની બહાર, ધ મોલ અને વેસ્ટમિન્સ્ટર એબેની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. લોકો પરિવાર સાથે રોડ, પાર્ક અને ફૂટપાથ પર જોવા મળતા હતા.
સાત દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે બ્રિટનમાં રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યાભિષેકની 1000 વર્ષ જૂની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યાભિષેક કાર્યક્રમ દરમિયાન 21મી સદીના બ્રિટનની ઝલક પણ જોવા મળી હતી.
કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક એ બ્રિટનના સિંહાસન પર તેમના પ્રવેશની ધાર્મિક પુષ્ટિ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અવસાન થયું હતું, ત્યારબાદ રાજા ચાર્લ્સે સત્તા સંભાળી હતી.
આ પણ વાંચો : જયશંકરે પાકિસ્તાનને ઝાટક્યું, કહ્યું, બિલાવલ ભુટ્ટો આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા