અમદાવાદ આરોગ્ય વિભાગની મોટી કામગીરી, તહેવારના સમયે નકલી ઘી નો ઝડપાયો જથ્થો
અહેવાલ - રીમા દોશી
એક તરફ તહેવારોની મોસમ અને ત્યારે બીજી તરફ અખાદ્ય તેમજ નકલી તેલ ઘી ના જથ્થા ઝડપાઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે વધુ એક વખત આવા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 7907 જેટલો ખાદ્ય તેલનો જથ્થો સીલ કરવામાં આવ્યો.
તેમાથી 11 જેટલા નમુના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ એક સ્થળેથી ઘી નું સેમ્પલ લેવામાં આવી 191 કિલો ઘી નો જથ્થો પણ સિઝ કરવામાં આવ્યો છે. સાથે જ પનીર મખની તેમજ રેડ ગ્રેવી સાથે 14 જેટલા નમુના હાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓના પરિણામ આવ્યા બાદ જ આ જથ્થા અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ અમદાવાદના ઓઢવમાં આવેલ જેનીથ એન્ટરપ્રાઇઝમાંથી 1300 કિલો એક્સપાયરી ડેટ ઘી નો જથ્થો મળી આવ્યો છે. જે અંદાજે 7,67,000 ની કિંમતનો છે. જેનો પીરાણા ડમ્પ સાઈડ ખાતે નાશ કરવામાં આવ્યો સાથે જ જેનીથ એન્ટરપ્રાઇઝ પાસેથી 25,000 નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. તહેવારોની મોસમ આવતા જ એક બાદ એક નકલી તેમજ અખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે. 6,00,000 કિલો નકલી ચીઝ પનીરના જથ્થા બાદ હવે ઘી અને તેલ પર પણ ચેકિંગ શરૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ અંબાજીના મોહનથાળના પ્રસાદમાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી સપ્લાય કરવામાં આવેલા ભેળસેળિયા ઘીનો વપરાશ થયો હોવાનો ખુલાસો થયો હતો. વળી અમદાવાદમાંથી નકલી પનીર પણ પકડાયું હતું. નકલી ઘી બનાવવાનો કારબાર રાજ્યના અલગ-અલગ ખૂણે ફલી ફૂલી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, નકલી ઘી સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક બની રહે છે. નકલી દેશી ઘીને તૈયાર કરવા માટે કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે. જેના કારણે જો ગર્ભસ્થ સ્ત્રીઓ તેનું સેવન કરે છે તો તેમને ગર્ભપાત પણ થઈ શકે છે. આ સિવાય નકલી દેશી ઘીમાં ઝિંક મિક્સ કરવામાં આવે છે. જો વધુ પ્રમાણમાં ઝિંકનું સેવન કરવામાં આવે તો ગભરામણ, મોઢામાં બળતરા, પેટ દર્દ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો - સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 5 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે