Surat : MD ડ્રગ્સનાં સેવનથી 32 વર્ષીય રિક્ષાચાલકનું મોત થયું, પરિવારનો દાવો, ન્યાયની માગ
- Surat નાં ઉન વિસ્તારમાં રહેતા 32 વર્ષીય રિક્ષાચાલકનું મોત
- MD ડ્રગ્સનાં સેવનનાં કારણે મોત થયું હોવાનો પરિવારનો દાવો
- મૃતકનાં પરિવારે ન્યાય અપાવવાની માગ કરી
- 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચાલુ હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી!
સુરતનાં (Surat) ઉન વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકનું MD ડ્રગ્સનાં સેવનનાં કારણે મોત થયું હોવાનો દાવો મૃતકનાં પરિવારજનોએ કર્યો છે. છેલ્લા 15 દિવસથી ડ્રગ્સનાં રવાડે ચઢેલા યુવકની તબિયત લથડતાં બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલનાં બિછાને મોત નિપજ્યું હતું. પરિવારે કરેલા આક્ષેપ અને યુવકનાં મોતનું સચોટ કારણ જાણવા ભેસ્તાન પોલીસે (Bhestan Police) સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે PM પ્રક્રિયા હાથ ધરી હતી.
32 વર્ષીય રિક્ષાચાલકનું MD ડ્રગ્સનાં કારણે મોત!
સુરત પોલીસ (Surat Police) "નો ડ્રગ્સ ઈન સુરત સિટી" અભિયાન ચલાવી રહી છે. તેમ છતાં બંધ બારણે શહેરમાં ડ્રગ્સનું હજી પણ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ડ્રગ્સનાં નશાનાં દલદલમાં ધકેલાયેલા યુવાઓ મોત તરફ વળી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ઉન વિસ્તારમાં સામે આવી છે. સંજાણનગર ખાતે રહેતો 32 વર્ષીય નવાઝ ખાન પઠાણ રિક્ષા ચલાવી પોતાનાં 3 સંતાન અને પત્નીનું ગુજરાત ચલાવતો હતો. દરમિયાન, નવાઝ ખાન પઠાણની તબિયત લથડતા સારવાર અર્થે સુરતની બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન નવાઝ ખાન પઠાણનું પીપલોદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સોમવારે મોત નીપજ્યું હતું. જો કે, નવાઝ ખાન પઠાણનું મોત MD ડ્રગ્સનું સેવન કરવાથી થયું હોવાનાં ગંભીર આરોપ મૃતકનાં પરિજનો એ કર્યા છે.
આ પણ વાંચો - BZ Group Scam : 1300 લોકો જોડે રૂ. 70 કરોડનું રોકાણ કરાવનારા સરકારી શિક્ષક સામે કડક કાર્યવાહી
તે છેલ્લા 15 દિવસથી એમડી ડ્રગ્સનું સેવન કરતો હતો : મૃતકનો ભાઈ
મૃતક નવાઝ ખાન પઠાણનાં પિતરાઈ ભાઈ ઇમરાન ખાન પઠાને જણાવ્યું હતું કે, નવાઝ ખાન પઠાણ છેલ્લા 15 દિવસથી એમડી ડ્રગ્સનું (MD Drugs) સેવન કરતો હતો. ઓવરડોઝનાં કારણે તેની હાલત ગંભીર થઈ હતી, જેથી તેને સારવાર અર્થે સુરતનાં (Surat) ખટોદરા વિસ્તારમાં આવેલી યુનિવર્સલ હોસ્પિટલ અને ત્યારબાદ પીપલોદની ગ્લોબલ સનસાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. નવાઝને કોઈપણ પ્રકારનો પહેલા વ્યસન નહોતો. પરંતુ છેલ્લા 15 દિવસથી તે ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો. ડ્રગ્સ લેવાનાં કારણે જ તેનું મોત થયું છે અને અમારી માંગ છે કે આ બાબતે ન્યાય આપવામાં આવે.
આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુની મુશ્કેલીઓ વધી! જૂના અખાડા પરિષદે પ્રયાગરાજથી લીધો મોટો નિર્ણય
'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચાલુ હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી!
મહત્ત્વનું છે કે સુરત પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા શહેરમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ડ્રગ્સનાં સોદાગરો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. પરંતુ, તેમ છતાં પણ ડ્રગ્સનાં કારોબાર સાથે સંકળાયેલા સોદાગરો હેમખેમ રીતે સુરતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, જેના કારણે આજની યુવા પેઢી ડ્રગ્સનાં રવાડે ચઢી રહી છે, જેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે. જે સુરતનાં ઉન વિસ્તારમાં બનેલી ઘટનામાં જોવા મળ્યું છે. પરંતુ, હાલ યુવકનું મોત કયાં કારણોસર થયું છે ? તે કારણ હજી અંકબંધ છે. જે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ શકશે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Gandhinagar : ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય!