ગુજરાતમાં બંગાળના CM મમતા બેનર્જીનો વિરોધ, હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આપ્યું આવેદન
- રાજ્યભરમાં બંગાળના CM મમતા બેનર્જીનો વિરોધ
- હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરી કલેક્ટરને આપ્યું આવેદન
- પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને વિરોધ
- વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત
પશ્ચિમ બંગાળ (West Bengal) માં હિન્દુઓ પર થતા કથિત અત્યાચાર અને વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના વિરોધમાં ઉભી થયેલી હિંસાને લઈને રાજ્યભરમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Bengal Chief Minister Mamata Banerjee) સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાતના સુરત અને અમદાવાદ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ રેલીઓ અને ધરણાં યોજીને મમતા સરકાર (Mamata government) પર હિન્દુ વિરોધી નીતિઓ અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ પણ ઉઠી છે.
સુરતમાં હિન્દુ સંગઠનોનું આંદોલન
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોએ સંયુક્ત રીતે શહેરના મુખ્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન યોજ્યું. આંદોલનકારીઓએ બંગાળમાં હિન્દુઓ પર થતી હિંસા અને તેમના ઘરો પર હુમલાઓનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જીની નીતિઓને હિન્દુ વિરોધી ગણાવી. સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપીને સંગઠનોએ દાવો કર્યો કે, પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે, અને ઘણા હિન્દુ પરિવારોને પોતાનું ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે. આવેદનમાં બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતી અને કાયદો-વ્યવસ્થા સુધારવા માટે તાકીદે પગલાં લેવાની માગ કરવામાં આવી.
અમદાવાદમાં VHPનો ઉગ્ર વિરોધ
અમદાવાદમાં પણ વિશ્વ હિન્દુ પરિષદે મમતા બેનર્જી સામે આક્રોશ વ્યક્ત કર્યો. “હિન્દુ વિરોધી મમતા સરકાર” જેવા નારા સાથે VHPના કાર્યકર્તાઓએ શહેરમાં રેલી કાઢી અને બંગાળમાં હિન્દુઓની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે, વક્ફ બિલના વિરોધના નામે બંગાળમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મુર્શિદાબાદ અને દક્ષિણ 24 પરગણા જેવા વિસ્તારોમાં 500થી વધુ હિન્દુ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. VHPએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી, જેથી હિન્દુઓની સુરક્ષા અને ન્યાયની ખાતરી થઈ શકે.
બંગાળમાં હિંસા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ધુલિયાન અને શમશેરગંજ જેવા વિસ્તારોમાં 10-12 એપ્રિલ, 2025 દરમિયાન વક્ફ (સંશોધન) અધિનિયમ સામેના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 3 લોકોના મોત થયાં અને ઘણા ઘાયલ થયા. ભાજપ અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે, આ હિંસામાં હિન્દુઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા, અને 400થી વધુ હિન્દુ પરિવારોને ઘર છોડી પડોશી જિલ્લાઓમાં આશ્રય લેવો પડ્યો છે. આ ઉપરાંત, હિન્દુઓની દુકાનો અને મકાનો પર હુમલા થયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ભાજપના નેતાઓએ આ હિંસાને “આયોજિત” ગણાવી અને મમતા સરકાર પર હિન્દુ વિરોધી વલણ અને હિંસક તત્ત્વોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
મમતા બેનર્જીનો જવાબ
મમતા બેનર્જીએ આ હિંસાને “આયોજિત સાંપ્રદાયિક રમખાણ” ગણાવી અને ભાજપ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર બાંગ્લાદેશથી ઘૂસણખોરોને પ્રવેશવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓના ઘરો પર પણ હુમલા થયા છે, જે દર્શાવે છે કે હિંસા TMCના ઉશ્કેરણથી નથી થઈ. મમતાએ વક્ફ કાયદાને બંગાળમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરી અને શાંતિપૂર્ણ વિરોધની હિમાયત કરી, પરંતુ હિન્દુ સંગઠનોનો આરોપ છે કે તેમની નીતિઓથી હિન્દુઓ અસુરક્ષિત બન્યા છે.
આ પણ વાંચો : વક્ફ એક્ટ મુદ્દે SC નો વચગાળાનો આદેશ, સરકારને જવાબ દાખલ કરવા 7 દિવસનો સમય આપ્યો