પંચમહાલ : 1000 થી વધુ રામભક્તો અયોધ્યા રામ મંદિર દર્શનાર્થે ડેરોલ સ્ટેશનથી રવાના થયા
દેશમાં જ્યારે હાલ રામભક્તિનું મોજું ફરી વળ્યું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ ભક્તોને અયોધ્યા મોકલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ લોકસભા વિસ્તારના રામભક્તો આજરોજ વિશેષ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પ્રભુ શ્રીરામના દર્શનાર્થે રવાના કરાયા છે. 67 વર્ષીય વૃદ્ધા પણ રામભક્તિના રંગે રંગાઈ વ્હીલચેર સાથે અયોધ્યા જવા માટે રવાના થયા. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી 1000 ઉપરાંત ભક્તોને અયોધ્યા રવાના કર્યા.
૧૧૦૦ કરતા વધુ રામભક્તો વિશેષ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જવા રવાના
પંચમહાલ લોકસભા વિસ્તારના અંદાજીત ૧૧૦૦ કરતા વધુ રામભક્તો આજરોજ વિશેષ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શનાર્થે મોકલવામાં આવ્યા છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના હસ્તે આસ્થા ટ્રેનને કાલોલના ડેરોલ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. ટ્રેન રવાના કરતા પહેલા ભક્તોની વ્યવસ્થા અને ઉત્સાહ વર્ધન માટે રાખવામાં આવેલ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
અયોધ્યાથીએ પણ પ્રતિજ્ઞા લઈને આવજો કે અમે ગૌહત્યાને બંધ કરાવીશું
ફતેસિંહ ચૌહાણ એ કહ્યું કે તમે પ્રભુ શ્રીરામના દર્શન માટે જાવ છો તો ત્યાંથી પરિવાર અને ગામ માટે પ્રસાદ લાવજો અને ભગવાન રામને કહેજો કે હિન્દૂ વિરોધી નીતિઓને જળમૂળથી સમાપ્ત કરવા માટે અમને શક્તિ આપે. ફતેસિંહે કોંગ્રેસ માટે જણાવ્યું કે કોંગ્રેસનો પાપી પંજો આખા દેશને ભરખી ગયો છે ત્યારે અયોધ્યાથી પરત આવ્યા બાદ કોમળ કમળના બટનને દબાવી આપણે દેશના બચાવવાનો છે. અને સાથે અયોધ્યાથી એ પણ પ્રતિજ્ઞા લઈને આવજો કે અમે ગૌહત્યાને બંધ કરાવીશું.
પંચમહાલ લોકસભા વિસ્તારના રામ ભક્તોને અયોધ્યા દર્શનાર્થે મોકલવા માટે રાખવામાં આવેલ ખાસ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ગોધરાના ધારાસભ્ય રાહુલજી, મોરવા હડફના ધારાસભ્ય નિમિતાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ રાજેશ ચૌહાણ સહિત કાલોલ મંડળના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઇ રહેલા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.અયોધ્યા જઇ રહેલા રામ ભક્તોમાં એક 64 વર્ષીય વૃદ્ધા પણ પોતાની વ્હીલ ચેર સાથે જોડાયા હતા.વૃદ્ધા સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ પ્રભુ શ્રીરામ ની ભક્તિ કરે છે અને દરરોજ હનુમાન ચાલીસા કરે છે. પોતાની આ ભક્તિનું ફળ તેમને હવે મળ્યું છે જેથી તેઓ પોતાના આખા પરિવાર સાથે આસ્થા ટ્રેનમાં અયોધ્યા પ્રભુ શ્રીરામના દર્શન માટે જઈ રહ્યા છે.જે તેમનું ખૂબ મોટું અહોભાગ્ય છે.અને તેમનું મોટું સપનું પૂર્ણ થઈ રહ્યું છે.અયોધ્યા જઈ રહેલા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આસ્થા ટ્રેન જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠી હતી.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો