PANCHMAHAL : સાંકલી આંટા ગામમાં સરકારે આજ દિન સુધી આરોગ્ય સબ સેન્ટર બનાવવાની તસ્દી ન લીધી
રાજ્ય સરકાર રાજ્યના છેવડા સુધીના દરેક દર્દીઓને સરળતાથી આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ સાથે આરોગ્યની સારી સેવા મળી રહે તે માટે અનેક સારા પ્રયાસો કરી રહી છે. જેને લઈને જિલ્લા અને તાલુકાના દરેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારના દરેક લોકોને આરોગ્ય...
રાજ્ય સરકાર રાજ્યના છેવડા સુધીના દરેક દર્દીઓને સરળતાથી આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ સાથે આરોગ્યની સારી સેવા મળી રહે તે માટે અનેક સારા પ્રયાસો કરી રહી છે. જેને લઈને જિલ્લા અને તાલુકાના દરેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારના દરેક લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ સહિત સારી સેવા પુરી પાડવા માટે આરોગ્ય કેન્દ્ર અને સબ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે. પરંતુ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કેટલાક સબ આરોગ્ય સેન્ટર જર્જરિત હોવાના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બન્યા
Advertisement
અંતરિયાળ વિસ્તારોમાં આવેલ સબ સેન્ટર જર્જરિત હોવાના કારણે પાછલા કેટલાક વર્ષોથી ખાનગી મકાન, સમાજઘર અને જીવના જોખમે જર્જરિત સબ સેન્ટરમાં આરોગ્યની સેવા આપવા માટે મજબૂર બન્યા છે. સબ સેન્ટર માટે સરકારી મકાન નહિ હોવાના કારણે દર્દીઓને પૂરતી આરોગ્યની સેવા નહિ મળવાના કારણે ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બન્યા છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અને જે જર્જરિત આરોગ્ય સબ સેન્ટર છે તેને તોડી નવા મકાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આજે પણ જીલ્લામાં 14 સબ સેન્ટર જર્જરિત અવસ્થામાં
પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે આરોગ્ય લક્ષી સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર એટલે કે વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી આજે પણ 14 સબ સેન્ટર જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. વળી ગોધરા તાલુકાનું ૩૫૦૦ ની વસ્તી ધરાવતું સાંકલી આંટા ગામ છે. જ્યાં 100 વર્ષથી ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા કાર્યરત છે એવા ગામમાં સરકારે આજ દિન સુધી સબ સેન્ટર બનાવવાની તસ્દી ન લીધી હોય એમ આજે પણ અહીં સબ સેન્ટર સમાજ વાડીમાં કાર્યરત જોવા મળી રહ્યું છે. સાથે જ અહીંયા નજીકમાં આવેલા આંગળીયા ગામ જે પણ સાડા ચાર હજારની વસ્તી ધરાવતું ગામ હોવા છતાં ત્યાં અલગ સબ સેન્ટર ફાળવવામાં આવ્યું નથી અને સાંકલી આટા સબ સેન્ટરના સ્ટાફ દ્વારા જ આ બંને ગામની હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ સર્જિત પરિસ્થિતિ માંથી મુક્તિ અપાવવા માટે સ્થાનિકો નવીન સબ સેન્ટરો નું નિર્માણ કરવા ઉપરાંત જર્જરીત સબ સેન્ટરો વહેલી તકે નવા બનાવવા ની માગણી કરી રહ્યા છે.
વહેલી તકે જર્જરિત સબ સેન્ટરને તોડી નવીન મકાન બનાવવામાં આવે તે જરૂરી બન્યું
આદિવાસી વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 300 જેટલા આરોગ્ય સબ સેન્ટર આવેલા છે. અને આ સબ સેન્ટરમાં ગામડાઓના ગરીબ અને શ્રમજીવી દર્દીઓ સારવાર અર્થે જતા હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકાના કેટલાક સબ સેન્ટર હાલ જર્જરિત અવસ્થામાં હોવાના કારણે ખાનગી મકાન, સમાજ વાડી અને જીવન જોખમે જર્જરિત સબ સેન્ટરમાં જ સારવાર આપવામાં આવી રહી છે. ખાનગી મકાન અને સમાજ વાડીમાં ચાલતા સબ સેન્ટરમાં જરૂરિયાત આરોગ્યલક્ષી સુવિધાઓ અને સાધન સામગ્રી નહિ હોવાના કારણે કેટલાક ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલ સારવાર લેવા માટે મજબુર બન્યા છે. ત્યારે વહેલી તકે જર્જરિત સબ સેન્ટરને તોડી નવીન મકાન બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
જોકે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે આગામી સમયમાં આ 14 જર્જરીત સબ સેન્ટર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે .ઉલ્લેખનીય છે કે એક તરફ સબ સેન્ટરમાં સ્ટાફ ઓછો હોય છે જેમાં પણ સરકારની વિવિધ યોજનાઓની કામગીરી માટે સ્ટાફ ફિલ્ડવર્કમાં હોય છે ત્યારે કેટલાક દર્દીઓ સબ સેન્ટર ખાતે આવી પરત ફરતા હોય છે અને ના છૂટકે ખાનગી દવાખાનાનો સહારો લઈ પોતાની જરૂરિયાતને પૂરી કરતાં જોવા મળી રહ્યા છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ યોજાઇ
Advertisement