Gujarat First ના અહેવાલ બાદ શાળા સંચાલકો ઘૂંટણીએ, એમિક્સ સ્કૂલની શાન આવી ઠેકાણે
Gujarat First Report Impact: ગુજરાતમાં આરટીઇ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જો કે, અનેક એવી શાળાઓ હોય છે જ્યા શિક્ષણના નામે ધંધો થતો હોય છે. ફી ભરીને આવેલા બાળકો અને આરટીઇ હેઠળ પ્રવેશ લીધેલા બાળકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. હમણાં ભરૂચની એમિક્સ સ્કૂલની આવી ગેરરીતિ સામે આવી હતી, જે બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ કરવામાં આવ્યો. અત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ એમિક્સ સ્કૂલના સંચાલકોને ભાન થયું છે.
અહેવાલ બાદ એમિક્સ સ્કૂલના સંચાલકોને ભાન થયું
નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગુજરાત શિક્ષણ વિભાગે તપાસ અર્થે આવ્યું અને શાળા સંચાલકોને આરટીઈના કાયદાનું ભાન કરાવ્યું હતું. તમને જણાવી દઇએ કે, ભરૂચ જીલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એમિક્સ ઈન્ટરેનેશનલ સ્કુલમાં ભેદભાવ રાખી એસી વિનાના વર્ગખંડમાં બેસાડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેનો મામલો શિક્ષણધિકારી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચતા સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો ધૂંટણીયે પડતા કરી દીધા હતા. જે બાદ સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપવાની ફરજ પડી હતી.
ભેદભાવની નીતિને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ લુવારા ગામની હદમાં એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંચાલકોએ ભેદભાવની નીતિ અપનાવી અલગ વર્ગખંડમાં બેસાડી તેમને એસી અને અન્ય સોશિયલ એક્ટિવિટીથી વંચિત રાખતા વિવાદ ઉભો થયો હતો. આ સાથે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની નીતિને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. છતાં સ્કૂલ સંચાલકે પોતાના એટીટ્યુટ વાલીઓને બતાવ્યો હતો અને આરટીઈના વિદ્યાર્થીઓને એસીની સુવિધા જોઈતી હશે તો અલગથી રૂપિયા આપવા પડશે તેવી ચિમકી આપી હતી.
અલગથી પૈસા માંગનાર સ્કૂલ સંચાલકોની શાન ઠેકાણે આવી
નોંધનીય છે કે, અલગથી પૈસા માંગનાર સ્કૂલ સંચાલકોની શાન આખરે શિક્ષણ વિભાગે ઠેકાણે લાવી દીધી છે અને સ્કૂલ સંચાલકોને આરટીઈના કાયદાનો પાઠ ભણાવી દીધો હતો. સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાંહેધારી આપી હોવાની કેફિયત જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેકટર ડૉ.દિવ્યેશ પરમારે જણાવ્યું છે. જો કે, જે વાલીઓએ આરટીઈ હેઠળ એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે અને એમના વાલીઓએ આ મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચાડતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન કરે તે માટે પણ ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા.
વાલીઓએ મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો
સમગ્ર મામલે વાલીઓના હીત માં શિક્ષણ અધિકારીના વલણને વાલીઓએ આવકારી ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો છે.જોકે જીલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈપણ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મળેવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખશે તો તે સ્કૂલ સંચાલકો સામે નક્કર અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે, શિક્ષણને વેપાર બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઈન્સ્પેકટર ડૉ.દિવ્યેશ પરમારે જણાવ્યું હતું.