તેલંગાણાના મુખ્યમંત્રી Revanth Reddy ને કેમ માંગવી પડી માફી?
- મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ માફી માંગી
- દિલ્લીની દારૂ નીતિ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
- સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ મુખ્યમંત્રીએ માફી માંગી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (Telangana Chief Minister Revanth Reddy) એ દિલ્લીની દારૂ નીતિ (liquor policy) મુદ્દે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને જામીન મળવા અંગેની તેમની ટિપ્પણી પર માફી માંગી છે. આ નિર્ણય તેમણે સુપ્રીમ કોર્ટની ઝટકણી પછી લીધો હતો, જે બાદ તેમણે બિનશરતી માફી માગતા નિવેદન જારી કર્યું હતું. રેવંત રેડ્ડીએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મને ભારતીય ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સન્માન અને સંપૂર્ણ વિશ્વાસ છે. હું સમજું છું કે 29 ઓગસ્ટ, 2024 ના રોજના કેટલાક અખબારી અહેવાલોમાં મારા નામે કરવામાં આવેલી ટિપ્પણીઓથી એવી છાપ ઊભી થઈ છે કે તે માનનીય અદાલતની ન્યાયિક વિવેકબુદ્ધિ પર સવાલ ઉઠાવી રહ્યા છે."
ટિપ્પણી માટે માફી
મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી સ્પષ્ટ કર્યું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો અને તેનો અર્થ કોર્ટની વિશ્વસનીયતા પર શંકા કરવા માટેનો ન હતો. રેવંત રેડ્ડીએ બિનશરતી માફી માંગતા કહ્યું કે, "મને ન્યાયિક પ્રક્રિયામાં મજબૂત વિશ્વાસ છે. અખબારી અહેવાલોમાં દર્શાવાયેલા નિવેદનો માટે હું બિનશરતી ખેદ વ્યક્ત કરું છું." આ રીતે તેમણે ન્યાયતંત્રના નિર્ણયને માન આપ્યું હતું.
કોર્ટનું સન્માન ભવિષ્યમાં પણ કરશે
તેમણે કહ્યું કે, તેઓ ન્યાયતંત્ર અને તેની સ્વતંત્રતા માટે બિનશરતી આદર અને અત્યંત સન્માન ધરાવે છે. ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતોમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હોવાના કારણે, તેઓ ન્યાયતંત્રને સર્વોચ્ચ સંદર્ભમાં રાખે છે અને આગળ પણ તેઓ આપતા રહેશે.
કે. કવિતાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા
27 ઓગસ્ટના રોજ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કવિતાને જામીન આપતી વખતે એવું કહ્યું હતું કે, કોઈપણ ગુનામાં દોષિત ઠરે તે પહેલાં ટ્રાયલ વિના લાંબી જેલને સજા બનવા દેવી જોઈએ નહીં.
તેલંગાણાના મુખ્યમંત્રીની ટિપ્પણી
કોર્ટના નિર્ણય બાદ તેલંગાણાના મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તે હકીકત છે કે BRSએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે કામ કર્યું હતું. BRS અને BJP વચ્ચે થયેલી ડીલના કારણે કવિતાને જામીન મળ્યા હોવાની પણ ચર્ચા છે.
આ પણ વાંચો: પહેલા બાબા આવતા હવે નેતા પણ આવે છે, કોર્પોરેટરે કહ્યું - કેજરીવાલ સપનામાં આવ્યા અને મે પક્ષ બદલ્યો