મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની તૈયારીઓ તેજ! ડ્રાઇવિંગ સીટ પર ફડણવીસ, શિંદે આપશે સાથ?
- મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર ગઠનની તૈયારી તેજ
- દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વની બેઠક
- મહાયુતિના વરિષ્ઠ નેતાઓ ગૃહમંત્રી સાથે કરશે મુલાકાત
- NCP અને શિવસેનાએ કહ્યું ભાજપના CM મંજૂર છે
- મુખ્યમંત્રી પદ માટે ચાલતી આંતરિક ખેંચતાણ પર વિરામ
- મંત્રી મંડળ અંગે આજની બેઠકમાં થઈ શકે છે ચર્ચા
Maharashtra Politics : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ નવા મુખ્યમંત્રીની પસંદગી પર હજુ સુધી ચોખવટ થઈ નથી. આ માટે, આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં મહારાષ્ટ્રના વર્તમાન કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે, ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવાર હાજર રહેશે. આ બેઠકમાં સરકારની રચના અને મુખ્યમંત્રીના નામ અંગે અંતિમ નિર્ણય લેવાશે.
શિંદેનું નિવેદન અને ભાજપનો નિર્ણય
એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ કોઈ પણ પ્રકારની નારાજગી કે વિવાદથી દૂર છે. શિંદેએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે પણ નિર્ણય લેશે, તે તેમને સ્વીકાર્ય રહેશે. શિંદેએ ઉમેર્યું કે, “દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મળીને નિર્ણય લેવામાં આવશે, અને હું ભાજપના નિર્ણયના સંપૂર્ણ સમર્થનમાં છું.” આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે નવી સરકારની રચનામાં મુખ્ય ભૂમિકા ભાજપની રહેશે. બીજી તરફ અજિત પવારે પણ મીડિયા સમક્ષ જણાવ્યું કે તેઓ ફડણવીસ અને શિંદે સાથે દિલ્હી જશે અને સરકારમાં મુખ્યમંત્રી સહિત 2 નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક અંગે ચર્ચા કરશે.
VIDEO | "There is no difference of opinion among Mahayuti partners. Even before the elections, we had said that we will make a decision (over the CM) together. Today, Eknath Shinde ji has cleared all doubts that were there among some people. We will soon sit together and make a… pic.twitter.com/KZM6VFOiNE
— Press Trust of India (@PTI_News) November 27, 2024
શું શિંદેની બીજી ટર્મની શક્યતા નથી?
મહત્વનું છે કે, શિંદેએ મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ ન મળવાથી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. શિંદેએ સ્પષ્ટપણે જણાવ્યું કે, “ભાજપે મારા છેલ્લા કાર્યકાળમાં સમર્થન આપ્યું હતું અને હું તેમના દરેક નિર્ણયનો આદર કરું છું.” શિંદેએ ઉમેર્યું કે શિવસેના અને મહાયુતિના તમામ ભાગીદારો સરકારની રચનામાં એકસાથે કાર્ય કરશે. અજિત પવારે મીડિયાને જાણકારી આપી કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ કાર્યક્રમ 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 288 સભ્યોની વિધાનસભામાં મહાયુતિએ કુલ 230 બેઠકો જીતી હતી. ભાજપે 132 બેઠકો મેળવીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. શિંદેની શિવસેનાએ 57 બેઠકો જીતી, જ્યારે અજિત પવારની એનસીપીએ 41 બેઠકો પર જીત મેળવી.
મહા વિકાસ આઘાડી માટે મોટો આંચકો
કૉંગ્રેસ અને મહા વિકાસ આઘાડી (MVA) માટે આ ચૂંટણી ખરાબ સાબિત થઈ હતી. કૉંગ્રેસને માત્ર 16 બેઠકો મળી, શરદ પવારની એનસીપીને 10 બેઠકો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માત્ર 20 બેઠકો પર સીમિત રહી. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટેના આ નિર્ણયો આગામી રાજકીય ગતિવિધિઓને આકાર આપશે, અને રાજ્યની જનતાને નવી સરકારથી ઘણી આશાઓ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CM પદને લઈને સસ્પેન્સ ખતમ...!, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી કહી મોટી વાત...