New Criminal Law Bills : નવા ક્રિમિનલ લૉ બિલ પસાર થતા PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું- ગરીબો, વંચિતો માટે..!
લોકસભા અને રાજ્યસભામાં નવા ક્રિમિનલ લૉ બિલ પસાર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય ન્યાયિક (દ્વિતીય) સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા-2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) અધિનિયમ-2023 બિલ પસાર થવું આપણા દેશના ઇતિહાસમાં એક ઐતિહાસિક પળ છે.
'આ પરિવર્તનકારી બિલો સુધારા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બિલ વસાહતી યુગના કાયદાનો અંત દર્શાવે છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કાયદાઓ સાથે લોકોના નવા યુગની શરૂઆત થતી હોય છે. સુધારા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો આ પરિવર્તનકારી બિલો છે. આ, ટેક્નોલોજી અને ફોરેંસિક વિજ્ઞાન પર ધ્યાન આપવાની સાથે આપણા કાયદા, પોલીસ અને તપાસ એજન્સીઓને આધુનિક બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, આ બિલો ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને વંચિતોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સાથે જ આ બિલ સંગઠિત અપરાધ અને આતંકવાદ પર પણ કડક વલણ અપનાવે છે. તેમણે કહ્યું કે, અમે રાજદ્રોહના કાયદા પણ નાબૂદ કર્યા.
અમિત શાહે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. કારણ કે આજે ભારતને તેના નવા ક્રિમિનલ લૉ ( New Criminal Law ) મળી ગયા છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ પર તમામ ભારતીયોને અભિનંદન. આજે સંસદમાં પસાર થયેલા ત્રણ બિલ એ વર્ષો પહેલા બ્રિટિશરો દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું સ્થાન લેશે અને સ્વદેશી ન્યાય પ્રણાલીના દાયકાઓ જૂના સ્વપ્નને સાકાર કરશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેકને સાથે રાખવાના સંકલ્પથી પ્રેરિત આ કાયદા, નાગરિકોના અધિકારોને સર્વોપરિ રાખે છે અને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે. નવા ભારતની આ નવી ન્યાય પ્રણાલી, અત્યાધુનિક ટેક્નોલોજીથી સશક્ત છે, જે દેશવાસીઓને પારદર્શક અને ઝડપી ન્યાય આપવા માટે કામ કરશે.
આ પણ વાંચો - રાજ્યસભામાં 3 નવા ક્રિમિનલ લૉ બિલને મંજૂરી, અમિત શાહે કહ્યું – ‘તારીખ પર તારીખનો જમાનો વિસરાઈ જશે…’