'કાશ્મીર આ દિવસને ભૂલી નહીં શકે', PAK પીએમ શાહબાઝ શરીફની મોટી જાહેરાત, ભારતને ઘેરવાની દુનિયાને અપીલ
- પાકિસ્તાની PM શાહબાઝ શરીફે ભારત પર આરોપો લગાવ્યા
- આત્મનિર્ણયનો અધિકાર એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો મુખ્ય સિદ્ધાંત છે
- કાશ્મીરના લોકો સાત દાયકાથી આ અધિકારનો ઉપયોગ કરી શક્યા નથી
- પાકિસ્તાની PMની આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
Shahbaz Sharif On Kashmir: પાકિસ્તાની PMએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે પોતાના વચનો પર ખરા ઉતરવું જોઈએ અને એવા પગલાં લેવા જોઈએ કે જેથી જમ્મુ-કાશ્મીરના લોકો તેમના આત્મનિર્ણયના અધિકારનો ઉપયોગ કરી શકે.
પાકિસ્તાનમાં કાશ્મીરના લોકો માટે આત્મનિર્ણય દિવસની ઉજવણી
પાકિસ્તાનમાં આજે એટલે કે, 5 જાન્યુઆરી 2025ના રોજ કાશ્મીરના લોકો માટે આત્મનિર્ણય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત પર અનેક આરોપો લગાવ્યા અને ફરી એકવાર જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારના પક્ષમાં રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં પણ રાજકીય અને રાજદ્વારી રીતે કાશ્મીરીઓને સમર્થન આપતા રહીશું.
શાહબાઝ શરીફે યુએનના ઠરાવનો ઉલ્લેખ કર્યો
શાહબાઝ શરીફે કહ્યું કે, આજના દિવસે (5 જાન્યુઆરી) 1949માં સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ઐતિહાસિક ઠરાવ અપનાવ્યો હતો, જે જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી જનમત સંગ્રહની ખાતરી આપે છે. શાહબાઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આત્મનિર્ણયનો અધિકાર એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો મુખ્ય સિદ્ધાંત છે અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) આત્મનિર્ણયના કાયદાકીય અધિકારની હિમાયત કરવા દર વર્ષે એક ઠરાવ પસાર કરે છે. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે કાશ્મીરના લોકો સાત દાયકાથી આ અધિકારનો ઉપયોગ કરી શક્યા નથી.
આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાની પીએમની અપીલ
પાકિસ્તાની PMએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે પોતાના વચનો પર ખરા ઉતરવું જોઈએ અને એવા પગલા ભરવા જોઈએ કે જેથી જમ્મુ-કાશ્મીરના લોકો તેમના આત્મનિર્ણયના અધિકારનો ઉપયોગ કરી શકે." પાકિસ્તાની પીએમે વૈશ્વિક સમુદાયને માનવાધિકાર ઉલ્લંઘન તાત્કાલિક બંધ કરવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા અને કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓને પુનઃસ્થાપિત કરવા અપીલ કરી છે.
Message of Prime Minister Muhammad Shehbaz Sharif on Right to Self-Determination Day for the People of Jammu & Kashmir pic.twitter.com/lVMbsHDLxM
— Prime Minister's Office (@PakPMO) January 5, 2025
આ પણ વાંચો : PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો પલટવાર; કહ્યું, વડાપ્રધાન દિલ્હીની જનતાને અપમાનિત કરી રહ્યા છે
પાકિસ્તાની પીએમે કલમ 370નો ઉલ્લેખ કર્યો
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું, "ભારત જમ્મુ અને કાશ્મીર પર તેની પકડ મજબૂત કરવા માટે ઘણા મજબૂત પગલાં લઈ રહ્યું છે. તેની શરૂઆત 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારત સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવાની સાથે થઈ હતી. ભારતનો ઉદ્દેશ્ય બહુમતી કાશ્મીરી લોકોને તેમની પોતાની માતૃભૂમિમાં લઘુમતી સમુદાયમાં પરિવર્તિત કરવાનો છે."
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સમર્થન આપ્યું હતું
પાકિસ્તાનના સરકારી રેડિયો અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ પુનરોચ્ચાર કર્યો કે, તેમનો દેશ કાશ્મીરી લોકોને રાજકીય, રાજદ્વારી અને નૈતિક સમર્થન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે, ભારત સાત દાયકાથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે કબજામાં રહેલા જમ્મુ અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણયના અધિકારથી વંચિત કરી રહ્યું છે અને તેમના પર જુલમ અને હિંસા કરી રહ્યું છે.
આ પણ વાંચો : 40 વર્ષની લાંબી લડાઈ બાદ બિહારમાં પહેલીવાર મહિલાને મળી CAA હેઠળ ભારતીય નાગરિકતા