હવે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા મળ્યા હોવાનો દાવો!
- શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા મળ્યા
- ભક્તોની ભાવનાઓ સાથે રમત
- મંદિર પરિસરની સ્વચ્છતા અને પવિત્રતા પર ઉઠ્યા સવાલો
છેલ્લા ઘણા દિવસોથી આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના તિરુપતિ મંદિર (Tirupati Temple) માં પ્રસાદ (Prasad) માં પ્રાણીઓની ચરબી (animal fat) નો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો છે. વળી આજે એક મહિલાએ પ્રસાદમાંથી તમાકુ મળી આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જોકે, આ તિરુપતિ મંદિર નહીં પણ મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિર (Sri Siddhivinayak Temple) નો મામલો છે. જ્યા 'મહાપ્રસાદ'માં ઉંદરનાં બચ્ચાં (Rat Cubs) જોવા મળ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે. જેને લઇને હવે દેશના મંદિરોના પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં મળી આવ્યા ઉંદરોના બચ્ચા
તિરુપતિના બાલાજી મંદિરમાં પ્રસાદની શુદ્ધતા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદની શુદ્ધતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જણાવી દઇએ કે, શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટોમાં ઉંદરના બચ્ચા મળી આવ્યા છે, જેનાથી પ્રશ્ન ઊભો થયો છે કે પ્રસાદની સંભાળ અને જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટે તપાસ શરૂ કરી છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં પ્રસાદના પેકેટ પર ઉંદરોના બચ્ચા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, ઉંદરોએ પ્રસાદના પેકેટને ચાવી નાખ્યા છે, જેના કારણે પેકેટની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તિરુપતિના પ્રસિદ્ધ બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલના કથિત ઉપયોગને લઈને દેશભરમાં પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. દેશના અનેક મંદિરોમાં હવે પ્રસાદની શુદ્ધતા તપાસવામાં આવી રહી છે કે તપાસની માંગણી ઉઠી રહી છે.
દેશભરના ભક્તોની ભાવનાઓને પહોંચી ઠેસ
શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ટૂંક સમયમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રસ્ટ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે 18 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી દેશભરના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જવાબમાં, YSR પાર્ટીએ નાયડુ પર રાજકીય લાભ માટે હિન્દુઓની આસ્થાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. લગભગ 300 વર્ષથી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા તિરુપતિ મંદિરના શ્રીવારીના લાડુ પર વિવાદ બાદ હવે દેશભરના વિવિધ મંદિરોમાં પ્રસાદની શુદ્ધતા અંગે કડકાઈ જોવા મળી રહી છે. સિદ્ધિવિનાયક મંદિરમાં બનેલી આ ઘટનાથી ભક્તોમાં પણ ચિંતા વધી છે અને તમામની નજર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા પગલાં પર છે.
મંદિર પરિસરની સ્વચ્છતા અને પવિત્રતા પર ઉઠ્યા સવાલો
રિપોર્ટ અનુસાર મંદિર પરિસરમાં પ્રસાદ માટે દરરોજ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. તહેવારોના સમયમાં લાડુની માંગ વધુ વધી જાય છે. પ્રસાદ માટે 50 ગ્રામના બે લાડુના પેકેટ છે. લાડુમાં વપરાતી સામગ્રીઓ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રમાણિત છે. લેબ ટેસ્ટ મુજબ આ મહાપ્રસાદના લાડુ 7 થી 8 દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. જો કે, લાડુમાં ઉંદરના બચ્ચાઓની તસવીરો સામે આવ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતાને લઈને મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: HNGU યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, આદિજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાંથી નીકળ્યો દેડકો