Manipur : પૂર્વ મુખ્યમંત્રીના ઘરે થયો રોકેટ હુમલો! 1 વૃદ્ધનું મોત
- મણિપુરમાં આતંકવાદીઓનો હુમલો: શાંતિ ભંગ
- મણિપુરમાં બે અલગ અલગ બોમ્બ હુમલા
- મોઇરાંગમાં રોકેટ હુમલો, એકનું મૃત્યુ
Manipur : મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે બપોરે મોઇરાંગના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ બોમ્બ હુમલો (Bomb Attack) કર્યો હતો, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું છે અને 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. આ હુમલો પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગ (Former Chief Minister Mairembam Koireng) ના નિવાસસ્થાનના પરિસરમાં થયો હતો, જ્યાં એક રોકેટ વિસ્ફોટ થયો.
હુમલાની વિગત: વૃદ્ધનું મૃત્યુ અને ઘાયલ લોકો
શંકાસ્પદ આતંકવાદીઓએ બપોરે બોમ્બ હુમલો (Bomb Attack) કર્યો હતો, જેના કારણે એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એ સમયે વૃદ્ધ વ્યક્તિ કોઈ ધાર્મિક વિધિની તૈયારીમાં હતા. તે સમય દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. ઈજાગ્રસ્ત (Injured) થયા લોકોમાં 13 વર્ષની એક બાળકી પણ સામેલ છે. રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ 2 કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું હતું. આઝાદ હિંદ ફૌજ (INA)ના લેફ્ટનન્ટ કર્નલ શૌકત અલીએ 14 એપ્રિલ, 1944ના રોજ મોઇરાંગ ખાતે INAના સર્વોચ્ચ કમાન્ડર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ ભારતીય ધરતી પર પ્રથમવાર સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ પહેલા દિવસે રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિમી દૂર ત્રોંગલાઓબી ખાતે રોકેટ છોડવામાં આવ્યું હતું.
એક દિવસમાં બીજો બોમ્બ હુમલો
મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે સવારે શંકાસ્પદ આતંકવાદીઓએ બોમ્બ હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે જણાવ્યું કે, બોમ્બ ચુરાચંદપુર જિલ્લામાં નજીકના પહાડી વિસ્તારોમાંથી ત્રંગલાઓબીના નીચાણવાળા રહેણાંક વિસ્તાર તરફ ફેંકવામાં આવ્યા હતા. ત્રોંગલાઓબી રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર છે. તેમણે કહ્યું કે, હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હુમલામાં એક સ્થાનિક કોમ્યુનિટી હોલ અને એક ખાલી રૂમને નુકસાન થયું છે. આ ઉપરાંત, શંકાસ્પદ આતંકવાદીઓએ પણ બિષ્ણુપુર જિલ્લા તરફ ગોળીબાર કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ત્રોંગલાઓબીથી થોડાક કિલોમીટર દૂર કુમ્બી ગામમાં તણાવ વધી ગયો હતો, જ્યારે કેટલાક ડ્રોન જમીનથી 100 મીટરથી ઓછી ઊંચાઈએ ફરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Hathras Accident : ભયાનક અકસ્માત વચ્ચે લોકોની ચીસો, 10 થી વધુના મોત