Kerala Bomb Blast: એક વ્યક્તિએ કર્યું સરેન્ડર, ADGPએ નામ જાહેર કર્યું
કેરળના એર્નાકુલમના કલામાસેરી સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ બાદ એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે અને દાવો કર્યો છે કે તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ મૂક્યો હતો. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ 14 જિલ્લાના પોલીસ કપ્તાનોને તેમના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. કેરળ પોલીસ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી ફેલાવનારા અને સાંપ્રદાયિક અને સંવેદનશીલ પોસ્ટ પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
NIAની ચાંપતી વૉચ
કેરળના ગૃહમંત્રી ડો.જી પરમેશ્વરાએ કહ્યું કે તમામ પોલીસકર્મીઓને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે. તમામ 14 જિલ્લાના પોલીસ વડાઓને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનોની આસપાસ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આઈજી અને કમિશનરને મેંગલોર બોર્ડર પર કડક તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસ ટીમે છેલ્લા ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ પણ લીધા છે. આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે કન્વેન્શન સેન્ટરમાં વિસ્ફોટ થયા હતા ત્યાં ત્રણ દિવસીય ધાર્મિક સંમેલન ચાલી રહ્યું હતું. આજે, યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. NIA અને કેરળ પોલીસ આ વિસ્ફોટોની તપાસ કરી રહી છે. એનએસજીની ટીમ પણ આવી રહી છે.