J-K Assembly Election : BJP ના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાત, વિકાસ અને સુરક્ષાનું આશ્વાસન
- અમિત શાહે જાહેર કર્યો BJP નો મેનિફેસ્ટો
- કલમ 370 ક્યારેય પાછી નહીં આવે : અમિત શાહ
- જમ્મુ-કાશ્મીરમાં BJPના મોટા વચનો, વિકાસ અને સુરક્ષાનું આશ્વાસન
Amit Shah released BJP's Manifesto : ભારતીય જનતા પાર્ટી (BJP) એ જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઠરાવ પત્ર જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આ ઠરાવ પત્ર રજૂ કરતાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ભારત માટે હંમેશા મહત્વનું રહ્યું છે. આ વિસ્તારને દેશ સાથે જોડાઈ રહેવા માટે અનેક પ્રયત્નો કરાયા છે. તેમણે કહ્યું કે કલમ 370 (Article 370) હવે ઈતિહાસ બની ગઈ છે અને તે ક્યારેય પાછી નહીં આવે. આ કલમના કારણે જ યુવાનોના હાથમાં પથ્થર આવ્યા હતા. અમિત શાહે (Amit Shah) પાકિસ્તાન સાથે વાતચીત ન કરવા પર જોર આપ્યું અને કહ્યું કે, "બોમ્બ વિસ્ફોટ (Bomb Explosion) અને વાતચીત એક સાથે થઈ શકે નહીં." તેમણે ખાતરી આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં વિકાસના નવા માર્ગ
અમિત શાહે જાહેર કર્યું કે, જમ્મુ-કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. 59 નવી કોલેજો ખોલવામાં આવી છે, જેમાંથી 30 કાશ્મીરમાં અને 29 જમ્મુમાં છે. આ ઉપરાંત 2 AIIMS, IIT, IIM, NIFT અને યુનાની હોસ્પિટલો પણ સ્થાપિત થઈ છે. હવે જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂર નથી, પરંતુ હવે ભારતના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીર આવી રહ્યા છે. આથી આ વિસ્તારનું શૈક્ષણિક વિકાસ તેજીથી થઈ રહ્યું છે. વધુમાં અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર 1947થી આપણા દિલની ખૂબ નજીક છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. તેમણે કહ્યું કે, અન્ય રાજકીય પક્ષો તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે અને અલગતાવાદ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. કલમ 370ના પડછાયા હેઠળ અલગતાવાદનો વિકાસ થયો. એક પછી એક સરકાર અલગતાવાદીઓ સામે નમતી રહી. કલમ 370 અને 35A હવે ઈતિહાસ બની ગઈ છે. જમ્મુ-કાશ્મીર હવે વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.
BJP ના ઠરાવ પત્રના મુખ્ય મુદ્દા
- વિકાસ કાર્યો: તાવી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, શ્રીનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કની સ્થાપના કરવામાં આવશે, અને દાલ તળાવને વૈશ્વિક સ્તરે વિકસાવાશે.
- યોજનાઓ: મા સન્માન યોજના, ઉજ્જવલા યોજના હેઠળ 2 સિલિન્ડર, અને કિશ્તવાડમાં આયુષ હર્બલ પાર્ક.
- રાજૌરીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
- વિદ્યાર્થીઓને લાભ: 10,000 રૂપિયાની કોચિંગ ફી, ઘરમાલિક મહિલાઓને 18,000 રૂપિયા, તેમજ કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
- સુવિધાઓ: મેટ્રો પ્રોજેક્ટ શરૂ થશે, ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયાની સહાય, અને IT હબની સ્થાપના કરવામાં આવશે.
- અમે હર ઘર જલ યોજનાનો વિસ્તાર કરીશું અને દરેક ઘર સુધી પાણી પહોંચાડીશું.
- કૃષિ માટે વીજળીના દર અડધા કરવામાં આવશે.
આ ઉપરાંત અમિત શાહે ખાતરી આપી કે, ભૂમિહીન લોકોને 5 મરલા (એક વીઘા) જમીન આપવામાં આવશે, ખંડિત મંદિરો ફરીથી બનાવવામાં આવશે, અને વૃદ્ધો તથા વિકલાંગો માટે પેન્શન વધારવામાં આવશે.
આ પણ વાંચો: સાક્ષી મલિકની વિનેશ ફોગાટને સલાહ - મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ