Gyanvapi : આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી, ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવો કે કેમ ? તે અંગે લેવાશે નિર્ણય
જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદ વિવાદ મામલે આજે એટલે કે બુધવારે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મુસ્લિમ પક્ષે સરવેનો અભ્યાસ અહેવાલ સાર્વજનિક ન કરવા અરજી કરી હતી. ત્યારે હવે આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ, મસ્જિદના એએસઆઈ સરવેનો રિપોર્ટ 18 ડિસેમ્બરે સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્ઞાનવાપી (Gyanvapi) કેસ મામલે ASI એ 18 ડિસેમ્બરના રોજ સીલબંધ કવરમાં સરવેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. ASI એ કોર્ટમાં સરવેનો અભ્યાસ અહેવાલ ચાર ભાગમાં રજૂ કર્યો હતો. રિપોર્ટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ASIના અભ્યાસ રિપોર્ટમાંથી જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય બહાર આવી શકે છે. વઝુખાના સિવાય સમગ્ર જ્ઞાનવાપી સંકુલનો સરવે કરવાનો આદેશ ખુદ જિલ્લા અદાલતે આપ્યો હતો. હવે આ મામલે હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીનું નિવેદન સામે આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આપી હતી આ સૂચના
હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે, 'જ્ઞાનવાપી (Gyanvapi) સંકુલના 92 દિવસના સરવેનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સરવે રિપોર્ટ બંધ કવરમાં દાખલ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની સુનાવણી કરી હતી અને સુનાવણી કર્યા બાદ સૂચના આપી હતી કે તમે તેને બંધ કવરમાં ફાઇલ કરશો નહીં. અમારી માંગણી એવી હતી કે તેને બંધ કવરમાં ફાઈલ ન કરવામાં આવે. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી પણ વિનંતી કરવામાં આવી હતી કે તેને માત્ર બંધ કવરમાં જ રાખવામાં આવે. વકીલે કહ્યું કે, મુસ્લિમ પક્ષે ગુપ્ત સુનાવણીની માગ કરી છે. તેમની માગ એવી હતી કે, જે કોઈ આ સરવેનો રિપોર્ટ લેવા માગે છે તેની પાસેથી એફિડેવિટ લેવામાં આવે કે તેઓ તેને પબ્લિક ડોમેનમાં લીક કરશે નહીં. અમે આનો વિરોધ કર્યો હતો, જેની સુનાવણી આજે હાથ ધરાશે.
આ પણ વાંચો - Assam : બસ-ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, બસના ફુરચેફુરચા બોલાયા, 12ના મોત, 25 ઇજાગ્રસ્ત