રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે BJPએ નિરીક્ષકોની કરી જાહેરાત, જાણો કોને સોંપાઈ જવાબદારી?
ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટેની કવાયત તેજ કરી છે. પક્ષ દ્વારા ત્રણેય રાજ્ય માટે નિરીક્ષકોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજસ્થાન માટે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેના નામ સામેલ છે. જ્યારે મધ્યપ્રદેશમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કે. લક્ષ્મણ અને આશા લાકડાને નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
છત્તીસગઢની વાત કરીએ તો અર્જૂન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને દુષ્યંત કુમાર ગૌતમની નિરીક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. પક્ષના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહ સિવાય પાર્ટી નેતા સરોજ પાંડે અને વિનોદ તાવડેને પણ કેન્દ્રીય નિરીક્ષક તરીકે રાજસ્થાન મોકલવામાં આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમની હાજરીમાં છત્તીસગઢમાં ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી કરવામાં આવશે.
BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
Rajasthan - Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh - Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh - Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6— ANI (@ANI) December 8, 2023
રાજ્યમાં ધારાસભ્ય દળ સાથે નિરીક્ષકોની બેઠક થશે
જ્યારે મધ્યપ્રદેશમાં મનોહર લાલ ખટ્ટર, કે. લક્ષ્મણ અને આશા લાકડાને નિરીક્ષક તરીકે મોકલવામાં આવશે. નિમણૂક કરવામાં આવેલા આ નિરીક્ષકો રાજ્યમાં ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીના પદ માટે પસંદગીના નેતાઓ સાથે વિગતવાર ચર્ચા અને સંવાદ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રક્રિયાની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના વડા જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અવારનવાર બેઠકો થતી રહી છે. જો કે, અત્યાર સુધી આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હાલ પણ સસ્પેન્સ યથાવત છે.