પુલવામા આતંકી હુમલાના આરોપીનું 32 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત
- પુલવામા આતંકી હુમલાના આરોપીને આવ્યો હાર્ટ એટેક
- UAPA સહિત કાયદાની સંબંધિત કલમો હેઠળ નોંધાયો ગુનો
- વર્ષ 2020 માં થઇ હતી બિલાલની ધરપકડ
વર્ષ 2019માં આતંકીઓએ પુલવામા (Pulwama) માં એક એવું કાવતરું કર્યું હતું જેના કારણે આપણા દેશના 40 જવાનો (40 Soldiers) શહીદ થયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, આ આતંકી હુમલા (Terrorist Attack) ના 32 વર્ષીય આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં હાર્ટ એટેક (Heart Attack) થી મોત થયું છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.
વર્ષ 2020 માં બિલાલની ધરપકડ કરવામાં આવી હતી
NIAએ જુલાઇ 2020 માં પુલવામા હુમલા સાથે સંકળાયેલા હોવા બદલ આરા મિલના માલિક બિલાલની ધરપકડ કરી હતી અને UAPA સહિત કાયદાની સંબંધિત કલમો હેઠળ તેની સામે ગુનો નોંધ્યો હતો. બિલાલ પુલવામા જિલ્લાના કાકાપોરાના હાજીબલ-લલ્હારનો વતની હતો. બિલાલ આ કેસમાં પકડાયેલો સાતમો આરોપી હતો. તેણે પોતાના ઘરમાં આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો અને તેનો ઉપયોગ છુપાવવા માટે કર્યો હતો.
પુલવામા આતંકી હુમલો
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર લેથપોરા પાસે આતંકવાદીઓએ CRPFના કાફલાને IED બ્લાસ્ટથી નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વાસ્તવમાં CRPF જવાનોની બસ એક રૂટ પર જઈ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો. શહીદ થયેલા જવાનો CRPF ની 54 બટાલિયનના હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. જણાવી દઇએ કે, સેનાનો આ કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો.
ભારતે જડબાતોડ જવાબ આપ્યો
ઉલ્લેખનીય છે કે, ભારતે પુલવામા હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે 3 વાગ્યે પુલવામા હુમલાનો બદલો લીધો હતો. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોએ નિયંત્રણ રેખા (LOC) પાર કરી અને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી હુમલા કર્યા હતા. આ દરમિયાન આતંકીઓના ઠેકાણાઓ પર મોટી સંખ્યામાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એર સ્ટ્રાઈક પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. મિશન પૂર્ણ થયા બાદ PM મોદીએ NSA અજીત ડોભાલ, તત્કાલીન વાયુસેના પ્રમુખ બીએસ ધનૌઆ સહિત તમામ સૈનિકોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: Araria : જમીન વિવાદને લઈને પોલીસ ટીમ પર હુમલો, મહિલા સબ ઈન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ