Lok Sabha Election 2024: ગઢવાલ બેઠક એટલે ભાજપનો ગઢ, આ બેઠક પરથી કોંગ્રેસની જીત અસંભવ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે અનેક બેઠકો પર સમીકરણો આવી રહ્યાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ઘણી એવી સંસદીય બેઠકો છે જેના પર ભાજપનો દશકોથી કબજો રહ્યો છે. આપણે વાત કરી રહ્યાં છીએ ઉત્તરાખંડની ગઢવાલ સંસદીય બેઠકની. આ બેઠકની વાત કરીએ તો અહીં લગભગ દરેક ઘરમાં એક સૈનિક છે. ઠાકુર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ આ ચૂંટણીમાં બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
બન્ને પક્ષોએ બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસ મુખ્યત્વે અંકિતા ભંડારી હત્યા કેસને મુદ્દો બનાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે અંકિતા હત્યા કેસમાં પોલીસ VVIPનો ખુલાસો કરી રહી નથી. કારણ કે આ VVIP ભાજપ સાથે સંકળાયેલું મોટું નામ હોઈ શકે છે. સ્થળાંતર પણ અહીં એક મુદ્દો છે. પૌરી એ બેઠક છે જ્યાં મહત્તમ સ્થળાંતર થયું છે. ભૂતિયા ગામોની સંખ્યા પણ અહીં સૌથી વધુ છે. ડિવિઝનલ હેડક્વાર્ટર પૌરીમાં પણ પાણીની તંગી એક મોટી સમસ્યા છે. આ બાજુ બીજેપીની વાત કરવામાં આવે તો બીજેપી દ્વારા વિકાસના મુદ્દા પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે
બીજેપીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. જ્યારે કેદારનામાં 2013ની દુર્ઘટના પછી તબાહ થઈ ગયું હતું, તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, બદ્રીનાથ ધામની પણ કાયાપલટ કરવામાં આવી છે. ચારધામ રોડ પ્રોજેકટ હેઠળ ચારધામ તરફ જતા રસ્તાઓ સુધારવામાં આવ્યા છે. ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી રેલ પૂરી પાડવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે આ રેલ પ્રોજેક્ટ સમગ્ર ગઢવાલ અને ઉત્તરાખંડના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ભાજપે અનિલ બલુનીને મેદાનમાં ઉતાર્યા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલુનીને ગઢવાલથી ટિકિટ મળ્યા બાદ તમામની નજર તેમના પર છે, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના સૌથી સક્ષમ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલને આ બેઠક પર ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પર 1952થી લઈને 1977 સુધી કોંગ્રેસનો કબજો રહ્યો હતો.તેમાં 14 વિધાનસભા બેઠકો છે જે ઉત્તરાખંડ, ચમોલી, પૌરી, નૈનીતાલ, રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે.
આ બેઠક પરથી કોંગ્રેસે ગણેશ ગોડિયાલને ઉતાર્યા
તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના તીરથ સિંહ રાવતને ભારે બહુમતીથી જીત મળી હતીં. પરંતુ આ વખતે ભાજપે તેમની ટિકિટ રદ્દ કરીને અનિલ બલુનીને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, કોંગ્રેસે પણ આ બેઠક પર તેના અગાઉના ઉમેદવાર મનીષ ખંડુરીની ટિકિટ રદ કરીને ગણેશ ગોડિયાલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. જો આપણે ખાસ કરીને પૌડીની વાત કરીએ તો આ જમીને પાંચ મુખ્યમંત્રી આપ્યા છે. દેશના મોટા હોદ્દા પર પણ પૌરીનો પ્રભાવ છે. દેશના પહેલા સીડીએસ બિપિન રાવત હોય કે અજિત ડોબલ આ બધા પૌરીના જ છે. વર્તમાન સીડીએસ અનિલ ચૌહાણ પણ પૌડીના રહેવાસી છે. આ પહેલાની વાત કરવામાં આવે તો 2014ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ ખંડુરીએ હરક સિંહને આ બેઠક પરથી હરાવ્યા હતા.
ભાજપનો ગઠ ગણાતી ગઢવાલ બેઠકનો ઇતિહાસ
સાંસદ | વર્ષ |
ભક્ત દર્શન સિંહ | 1952 થી 1971 |
પ્રતાપ સિંહ નેગી | 1971 થી 1977 |
જગન્નાથ શર્મા | 1977 થી 1980 |
હેમવંતી નંદન બહુગુણા | 1980 થી 1984 |
ચંદ્ર મોહન નેગી | 1984 થી 1991 |
ભુવન ચંદ્ર ખંડુરી | 1991 થી 1996 |
સતપાલ મહારાજ | 1996 થી 1998 |
ભુવન ચંદ્ર ખંડુરી | 1998 થી 2007 |
આ બેઠકની વિગતે વાત કરવામાં આવે તો આશરે 14 લાખ મતદાતાઓ વસે છે. નોંધનીય છે કે,આ વખતે અહીંની ચૂંટણી રસપ્રદ રહેવાની છે. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો અહીંથી ભાજપના તીરથ સિંહ રાવત 5 લાખ 6 હજાર 980 મતો મેળવીને જીત્યા હતા. કોંગ્રેસના મનીષ ખંડુરી 2 લાખ 04 હજાર 311 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ લોકસભા ક્ષેત્રમાં 14માંથી 13 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર બદ્રીનાથ સીટ પર જીતી હતી.