RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ...!
RUPALA VIVAD : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિવાદ (RUPALA VIVAD )માં મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ વિવાદનું સમાધાન કરવા માટે હવે ગુજરાતના મોટા સંતો પણ ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે. સંતોએ આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે.
પરશોત્તમ રુપાલા અગાઉ બે વાર માફી માગી ચુક્યા છે
પરશોત્તમ રુપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજનું હાલ આંદોલન ચાલી રહ્યું છે. ગઇ કાલે વિશ્વ હિન્દુ પરિષદે પણ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી. સમગ્ર મામલે પરશોત્તમ રુપાલા અગાઉ બે વાર માફી માગી ચુક્યા છે જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ માફી માગી હતી છતાં ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. ગઇ કાલે વિશ્વ હિન્દુ પરિષદે પણ અપીલ કરી હતી.
અવિચલદાસજી મહારાજ અને મહંત દિલીપદાસજી મહારાજની અપીલ
હવે પરશોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના મોટા સંતો હવે ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે. સંતોએ રૂપાલા વિવાદમાં ઉકેલ લાવવા અપીલ કરી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને અવિચલદાસજી મહારાજે પણ વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે.
આ લડાઇથી માત્રને માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચે તેમ છે
સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજીએ અપીલ કરતાં કહ્યું છે કે જે ઘટના ઘટી છે તે ચોક્કસ નિંદનીય છે. ક્યાંક ને ક્યાંક અજાણતા ભુલ થઇ છે. તેમણે કહ્યું કે જો કે દરેક બાબતનો સમાધાનકારી રસ્તો હોય છે જેના પર બંને પક્ષ દ્વારા વિચારવામાં આવે તે જરુરી છે. આ લડાઇથી માત્રને માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચે તેમ છે તેમ જણાવતાં સંત અવિચલદાસજી મહારાજે કહ્યું કે અમે કોઇ રસ્તો બતાવતા નથી પણ બંને પક્ષો ભેગા મળી તેના માટે યોગ્ય રસ્તો શોધે અને સમાધાન કરે.
ક્ષત્રિયોનું બલિદાન દેશ માટે છે તેમણે મોટુ મન રાખીને સમાધાન કરવું જોઇએ
બીજી તરફ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે કહ્યું કે ક્ષત્રિય સમાજને અપીલ છે કે બંને પક્ષે સમાધાન કરવું જોઇએ. કોઇ પણ ઉમેદવારે સમાજની લાગણી ના દુભાય તે માટેનું ધ્યાન રાખવું જોઇએ તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ક્ષત્રિયોનું બલિદાન દેશ માટે છે તેમણે મોટુ મન રાખીને સમાધાન કરવું જોઇએ.
જાણીતા કથાકાર રામેશ્વરદાસજી બાપુ હરીયાણવીએ પણ સમાધાનની અપીલ કરી
બીજી તરફ આ મામલે જાણીતા કથાકાર રામેશ્વરદાસજી બાપુ હરીયાણવીએ પણ કહ્યું કે આ મુદ્દે રુપાલાજીએ વારંવાર માફી માગી છે અને હવે સમાધાન થવું જરુરી છે. તેમણે કહ્યું કે જે થઇ ગયું તે થઇ ગયું પણ હવે હિન્દુત્વ અને રાષ્ટ્રને નુકશાન ના પહોંચે તે જોવું જોઇએ. આ વિવાદ વધુ ના વકરે તે માટે સમાધાન થવું જરુરી છે. તેમણે કહ્યું કે સમાજને પણ નુકશાન ના થવું જોઇએ પણ પક્ષને પણઆવા નેતાઓની જરુર છે.
જિલ્લા-તાલુકા ભાજપ કાર્યાલયે આવેદન અપાશે
બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત રહ્યું છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ જાહેરાત કરી છે કે રાજ્યભરમાં શાંતિપૂર્વક રીતે આવેદન પત્ર અપાશે. જિલ્લા-તાલુકા ભાજપ કાર્યાલયે આવેદન અપાશે. જો કે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ રજૂઆત નહીં કરવામાં આવે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું ફોર્મ પરત ખેંચવાની માગણી યથાવત્ છે અને 14 એપ્રિલે રતનપરમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવાનીપણ જાહેરાત કરાઇ છે.
સંતો રૂપાલાજીને ફોર્મ ખેંચવા સમજાવે
આ સાથે વિવાદનો ઉકેલ અને સમાધાન લાવવા સંતોએ કરેલી અપીલ પર ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહે કહયું કે હું તમામ સંત સમાજને વિનંતી કરું છું કે સંતો રૂપાલાજીને ફોર્મ ખેંચવા સમજાવે.
આ પણ વાંચો----- Rupala controversy : રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી! ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો!
આ પણ વાંચો---- Parshottam Rupala નો બેબાક હૂંકાર, કહ્યું – ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે…..