માછલીઓની આ પીડાનું સત્ય સાંભળીને તમે ખાવાનું બંધ કરી દેશો!
- માછલી ખાતા પહેલાં વિચારજો! નવા સંશોધનનો ખુલાસો
- આશ્ચર્યજનક સત્ય: માછલીની પીડા અને બૌદ્ધિક ક્ષમતા
- માછલીઓ અરીસામાં જોતી વખતે પોતાને ઓળખી શકે છે
માછલીઓ (Fishes) ના વર્તન અને બૌદ્ધિક (behavior and intelligence) ક્ષમતાને લઈને ઘણા લાંબા સમયથી સંશોધન (Research) ચાલી રહ્યાં છે. હમણાં, મેક્વેરી યુનિવર્સિટી, સિડનીના પ્રોફેસર કુલમ બ્રાઉનના સંશોધન દ્વારા એક નવું અને આશ્ચર્યજનક તારણ બહાર આવ્યું છે કે માછલીઓમાં પણ પોતાની જાતને ઓળખવાની ક્ષમતા હોય છે. પ્રોફેસર બ્રાઉનના સંશોધન અનુસાર, માછલીઓ અરીસામાં જોતી વખતે પોતાને ઓળખી શકે છે.
માછલીઓ પોતાનો પ્રતિબિંબ ઓળખી શકે છે
અભ્યાસે દર્શાવ્યું છે કે માછલીઓ અરીસામાં પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને પોતાનો પ્રતિબિંબ ઓળખી શકે છે. ખાસ કરીને, ઓસાકા યુનિવર્સિટીના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જ્યારે માછલીઓને એનિસ્થેસિયાનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓને હોશ આવ્યો હતો, ત્યારે તેઓએ અરીસામાં પોતાનો પ્રતિબિંબ જોઈને તેમના ગળા નીચેના નિશાનને ઓળખ્યો અને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયોગમાં માછલીઓએ પોતાની ત્વચાને પથ્થરો પર ઘસીને તે નિશાન દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જે તેમના સંવેદન અને બુદ્ધિની ક્ષમતાની સાબિતી આપે છે. આ પહેલા ઘણા સસ્તન પ્રાણીઓ, હાથી અને ડોલ્ફિન આ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે. જો કે, માછલીમાં મિરર ટેસ્ટના પરિણામો એટલા વિવાદાસ્પદ હતા કે આ સંશોધન પેપરને પ્રકાશિત કરવામાં પાંચ વર્ષ લાગ્યાં. જણાવી દઈએ કે માછલીઓ દુનિયાભરમાં સૌથી વધુ ખવાય છે. એવો અંદાજ છે કે દર વર્ષે 1.1-2.2 ટ્રિલિયન ટન માછલીઓ પકડાય છે. વિજ્ઞાન અને તબીબી સંશોધનમાં વપરાતા મુખ્ય પ્રાણીઓમાંના એક હોવાથી તેઓ સૌથી વધુ પાળેલા પ્રાણીઓ પણ છે. છતાં મોટા ભાગના લોકો તેમને પ્રાણી પણ માનતા નથી.
સંવેદનશીલતા અને પીડાનો અનુભવ
માછલીઓની સંવેદનશીલતા પરના આ સંશોધન પહેલાં થોડા વિવાદ હતા, પણ દાયકાઓમાં થયેલા સંશોધનોએ સાબિત કર્યું છે કે કેટલાક પ્રાણીઓમાં શીખવાની, સમજવાની અને પીડા અનુભવવાની ક્ષમતા હોય છે. સાથે જ તેઓ સંબંધો સ્થાપિત કરવાનો જુસ્સો પણ ધરાવે છે. આ તમામ લાક્ષણિકતાઓ પ્રાણીની સંવેદનશીલતાનું વર્ણન કરે છે. વાઇકાટો યુનિવર્સિટીના ફિશ ઇકોલોજિસ્ટ પ્રોફેસર નિક લિંગે કહ્યું કે, માછલીઓ પણ પીડા અનુભવી શકે છે. પ્રોફેસર નિક લિંગના અભ્યાસમાં એવું જણાયું છે કે જો માછલીઓને મધમાખીના ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવે, તો તેમની શ્વાસની ગતિ વધે છે અને તેઓ પથ્થરો સામે ઘસવા લાગે છે, જે દર્શાવે છે કે તેઓને પીડાનો અનુભવ થાય છે.
માછલી પણ છે સંવેદનશીલ પ્રાણી
વિશ્વના ઘણા દેશોએ માછલીઓને સંવેદનશીલ પ્રાણી તરીકે ઓળખવાનું શરૂ કર્યું છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીએ આ સંવેદનશીલતા માની છે. માછલીઓની બૌદ્ધિક ક્ષમતાના સંશોધનથી હવે સાબિત થયું છે કે માછલીઓ માત્ર ખાવા માટેની જ વસ્તુ નથી, પરંતુ તેઓ પ્રાણી તરીકે પણ માન્યતા પાત્ર છે. પ્રોફેસર બ્રાઉનનું કહેવું છે કે જેમ આપણે ગાય, કૂતરા, બિલાડી અથવા અન્ય પાળતુ પ્રાણીઓ સાથે માનવીય રીતે વર્તીએ છીએ, તેમ જ માછલીઓની સાથે પણ કરવું જોઈએ.
આ પણ વાંચો: રશિયની જાસૂસ હતી આ Whale! રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા