શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી
- હસીનાનો રોષ, બાંગ્લાદેશમાં હાહાકાર
- હસીનાનો પત્ર: બાંગ્લાદેશના લોકો માટે સંદેશ
- બાંગ્લાદેશમાં હિંસા: હસીનાની માંગ
Sheikh Hasina Wrote letter : તાજેતરમાં બાંગ્લાદેશમાં જોવા મળેલા બળવાના પગલે વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં શેખ હસીનાએ બાંગ્લાદેશના લોકો માટે એક સંદેશ પાઠવ્યો છે. હસીનાના પુત્ર દ્વારા શેર કરવામાં આવેલા પત્રમાં, શેખ હસીના (Sheikh Hasina) એ ન્યાયની માંગણી કરી છે અને તેમના પક્ષના નેતાઓ તથા કાર્યકરો સામેની તાજેતરની હિંસાને "આતંકવાદી હુમલો" ગણાવ્યું છે. તેમણે બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી હત્યાઓ અને હિંસાના કૃત્યોમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગણી કરી છે.
કુટુંબના સભ્યોની હત્યા પર શેખ હસીનાનો આક્રોશ
શેખ હસીના (Sheikh Hasina) એ લખ્યું કે, 15 ઓગસ્ટ, 1975ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હત્યા કરી હતી. તેમની સાથે, હસીનાની માતા બેગમ ફઝિલાતુન્નેસ, ત્રણ ભાઈઓ, અને અન્ય કુટુંબના સભ્યોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હસીનાએ આ ઘટનાને યાદ કરતા લખ્યું કે, "મારા નાનો ભાઈ, જે માત્ર 10 વર્ષનો હતો, તેની પણ આ હત્યા કરવામાં આવી હતી." હસીનાએ પત્રમાં 15મી ઓગસ્ટના શહીદોને યાદ કરતા લખ્યું, "મારા એકમાત્ર કાકા, લકવાગ્રસ્ત સ્વાતંત્ર્ય સેનાની, અને ઘણા અન્ય કુટુંબના સભ્યોની પણ આ ઘૃણાસ્પદ હિંસામાં હત્યા કરવામાં આવી હતી." આ સાથે, હસીનાએ લખ્યું કે, "હું તમામ શહીદોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને બાંગ્લાદેશના લોકો પણ 15મી ઓગસ્ટના દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ગૌરવ સાથે ઉજવવાનું અપીલ કરું છું."
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ નરસંહાર, સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી
હિંસામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના
શેખ હસીનાએ તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને તોડફોડમાં જીવ ગુમાવનારાઓ માટે સંવેદના વ્યક્ત કરતા લખ્યું કે, "જુલાઈથી અત્યાર સુધીમાં આંદોલનના નામે ઘણી હિંસા થઈ છે. હું તેમની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને માંગ કરું છું કે આ હિંસામાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવે." પત્રના અંતમાં, શેખ હસીના (Sheikh Hasina) એ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હિન્યાનું અપમાન થવા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હસીનાએ લખ્યું કે, "રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાન, જેમના નેતૃત્વમાં અમે બાંગ્લાદેશને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું, તેમના બલિદાનનું અપમાન થયું છે. લાખો શહીદોના લોહીનું અપમાન થયું છે." હસીનાએ બાંગ્લાદેશના લોકોને ન્યાયની માંગણીમાં એકજુટ રહેવાની અપીલ કરી છે અને બાંગલાદેશના બધા લોકો 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય શોક દિવસને ગૌરવ સાથે ઉજવવાનું અપીલ કરી છે. "જોય બાંગલા, જોય બંગબંધુ," લખીને તેમણે પત્રનો અંત કર્યો છે.
હવે બાંગ્લાદેશમાં 15 ઓગસ્ટે રજા રહેશે નહીં
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય શોક દિવસ પર આપવામાં આવતી રજા રદ કરી દીધી છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ મંગળવારે સલાહકારોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકનું નેતૃત્વ મુખ્ય સલાહકાર ડો. મોહમ્મદ યુનુસે કર્યું હતું. અગાઉ, ગૃહ મંત્રાલયના સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈને કહ્યું હતું કે 15 ઓગસ્ટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે સુનિશ્ચિત કરીશું કે કોઈને કોઈ સમસ્યા ન સર્જાય. તેમણે જે સુરક્ષા પગલાં વિશે વાત કરી તેમાં પોલીસ, BGB, RAB અને સંભવતઃ સેનાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મોંઘવારી વિરુદ્ધ લડાઈમાં વિજેતા કોણ? ભારત, પાકિસ્તાન કે...