પાકિસ્તાને પ્રથમવાર સત્તાવાર રીતે કારગિલ યુદ્ધમાં પોતાની સંડોવણી સ્વીકારી
- એક નિવેદનથી પાકિસ્તાનની ખુલી ગઇ પોલ
- પાકિસ્તાને પહેલીવાર કબુલ્યું કે કારગિલ યુદ્ધમાં તેમનો હાથ હતો
- કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારમી હાર આપી હતી
ફરી એકવાર કારગિલ યુદ્ધ (Kargil War) ની યાદો તાજા થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાને (Pakistan) સ્વીકાર્યું કે તે આ યુદ્ધમાં સામેલ છે. 25 વર્ષ બાદ આખરે પાકિસ્તાને પહેલીવાર કારગિલ યુદ્ધ (Kargil War) માં પોતાની ભાગીદારીનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધમાં ભારતીય સેના (Indian Army) એ પાકિસ્તાનને કારમી હાર આપી હતી. આ પહેલા પાકિસ્તાને હંમેશા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેના (Pakistani Army) ની સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. તાજેતરમાં, પાકિસ્તાનમાં સંરક્ષણ દિવસના અવસર પર, આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે (Army Chief General Asim Munir) ભારત સામે કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા એક કાર્યક્રમમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો.
જાણો શું કહ્યું પાક આર્મી ચીફ?
વર્ષ 1999ના કારગિલ યુદ્ધ (Kargil War) માં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેના (Pakistan Army) એ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસરે, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આખરે પહેલીવાર કારગીલમાં પાક આર્મીના જવાનોના મૃત્યુનો સ્વીકાર કર્યો છે. અગાઉ પાકિસ્તાને તેનો ઇનકાર કર્યો હતો. જનરલ મુનીરે કહ્યું કે, પાકિસ્તાનના લોકો બહાદુર છે, જે આઝાદીનું મહત્વ અને તેની કિંમત ચૂકવવાની રીતને સમજે છે. 1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ હોય, હજારો સૈનિકોએ આ યુદ્ધમાં દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે. 25 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાની સેના દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ આર્મી ચીફ પહેલા પાકિસ્તાની સેનાના કોઈ જનરલે ઓફિસમાં રહીને કારગિલ યુદ્ધને લઈને આવું સ્પષ્ટ નિવેદન આપ્યું ન હોતું. પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે ભારત સાથે 1999ના કારગિલ યુદ્ધમાં તેની સંડોવણીનો સ્વીકાર કર્યો છે.
પોતાના સૈનિકોના મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઈનકાર
સંરક્ષણ દિવસના અવસર પર પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કહે છે, "1948, 1965, 1971 અને 1999માં કારગીલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધમાં હજારો શહીદોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું..." ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન શરૂઆતથી જ દાવો કરતું આવ્યું છે કે કાશ્મીરી આતંકવાદીઓ, જેમને તે મુજાહિદ્દીન કહે છે, તેઓ કારગિલ યુદ્ધમાં સામેલ હતા. આ કારણોસર તેણે કારગિલ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પાકિસ્તાનના આ દાવા બાદ ભારતે પાકિસ્તાની સૈનિકોના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનું આ નિવેદન ઘણા મહત્વના પાસાઓને પ્રકાશિત કરે છે. એક તરફ, તે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું સ્વીકારે છે. જ્યારે બીજી તરફ, તે એ વાત કહે છે કે આ યુદ્ધમાં માત્ર કાશ્મીરી આતંકવાદીઓ જ સામેલ હતા. પાકિસ્તાન તરફથી આવેલું આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પણ અસર કરી શકે છે કે નહીં તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: હવે બદલાશે પાકિસ્તાનનું નસીબ? સમુદ્રમાંથી મળ્યો આ કિંમતી ખજાનો