Pahalgam Terror Attack : પાકિસ્તાનના રક્ષા મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું - પહેલગામ હુમલા પાછળ ભારતના જ લોકો
- Pahalgam Terror Attack - પાકિસ્તાનનું વિવાદિત નિવેદન
- પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું વિવાદિત નિવેદન
- 'ભારત જ જવાબદાર' – પાકિસ્તાની પ્રધાનનો દાવો
- આતંક પર પાકિસ્તાનનું રાજકારણ શરૂ
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણી ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ તેની સરકારે આ આરોપોને નકાર્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા નિવેદનમાં દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે તેમના દેશનો કોઈ સંબંધ નથી અને પાકિસ્તાન દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરે છે.
આસિફે ઉલટો ભારત પર આરોપ લગાવ્યો
એક કહેવાત છે કે, ઉલટા ચોર કોતવાલ કો ડાટે. કઇંક આવું જ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ કહી રહ્યા છે. આસિફે ઉલટો ભારત પર આરોપ લગાવ્યો અને જણાવ્યું કે આ હુમલા પાછળ ભારતના જ લોકો સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે. આ નિવેદનથી વિવાદ વધ્યો છે. આસિફે દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનની જવાબદારી ટાળવાની ચાલ તરીકે જુએ છે.
પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત નિર્દય હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં 2 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો, જેને 2019માં કલમ 370 નાબૂદ થયા પછીનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણવામાં આવે છે, તેની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાએ અનેક પરિવારોને પીડા આપી છે, અને તેના ભયાનક દૃશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જોવા મળે છે.
હુમલાનો સમય અને સ્થળ
આ હુમલો મંગળવારે, 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે લગભગ 2:30 વાગ્યે પહેલગામના બૈસરન મેદાનોમાં થયો, જે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને તેને 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તાર, જે ફક્ત પગપાળા અથવા ઘોડા પર જ પહોંચી શકાય છે, તે દિવસે સેંકડો પ્રવાસીઓથી ગુંજી રહ્યો હતો. અચાનક, લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેનાથી લોકોમાં ભય અને અરાજકતા ફેલાઈ ગઈ. હુમલા બાદ સામે આવેલા વીડિયોમાં લોકોનો ભય સ્પષ્ટ દેખાય છે. એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓ, જેમાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે, એક જગ્યાએ એકઠા થઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જૂથમાં રડતી સ્ત્રીઓ અને ઘાયલ બાળકો જોવા મળે છે, જેમના કપડાં ફાટેલા છે અને શરીર પર લોહીના ડાઘ છે. એક પીડિત મહિલાએ જણાવ્યું કે આતંકવાદીઓએ નજીકથી ગોળીબાર કર્યો, અને તેમના પતિને માથામાં ગોળી વાગી.
આ પણ વાંચો : પહેલગામ હુમલાના એક દિવસ બાદ બારામૂલામાં ઘૂસણખોરી કરતાં 2 આતંકીઓ ઠાર