ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની તોડી કમર, હુમલામાં ટોચના કમાન્ડરનું મોત
- ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની કમર તોડી
- આ યુદ્ધમાં ઈઝરાયલના હવાઈ હુમલાઓની સંખ્યા 1,600 સુધી પહોંચી
- હુમલામાં લગભગ 600 જેટલા લોકોના મોત
- દેશ છોડી બહાર જઇ રહ્યા છે લોકો
Israel-Hezbollah War : આજે વિશ્વના ઘણા દેશ એકબીજાને પસંદ કરતા નથી અને કોઇને કોઇ કારણોસર તેમની વચ્ચે યુદ્ધ થતું રહે છે. હાલમાં ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ખરાબ પરિણામો તરફ આગળ વધી રહ્યું છે. ઈઝરાયેલી સેના હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહી છે, જેના કારણે લેબનાનમાં ભારે વિનાશ થઈ રહ્યો છે. આ યુદ્ધમાં ઈઝરાયલના હવાઈ હુમલાઓની સંખ્યા 1,600 સુધી પહોંચી ગઈ છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે. આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાખ્યો છે. અત્યાર સુધી આ હુમલામાં લગભગ 600 જેટલા લોકોના મોત થયા છે.
હવાઈ હુમલાઓથી બચવા લોકો છોડી રહ્યા છે દેશ
લેબનોનના વિવિધ વિસ્તારોમાં ઈઝરાયેલી સેનાએ હવાઈ હુમલાઓ કરીને હિઝબુલ્લાહને નબળું બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં લગભઘ 600 જેટલા લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1,835 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાઓના કારણે સ્થાનિક જનતામાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે, અને લોકો પોતાની સુરક્ષા માટે દેશ છોડી અન્ય સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલી દળોએ મંગળવારે ઇબ્રાહિમ મોહમ્મદ અલ-કુબૈસીની હત્યા કરી હતી. અલ-કુબૈસી હિઝબુલ્લાહની મિસાઇલ અને રોકેટ સિસ્ટમનો ટોચનો કમાન્ડર હતો. IDF ના પ્રવક્તા અવિચાય અદ્રાઈએ જણાવ્યું હતું કે હવાઈ હુમલા સમયે હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ મોહમ્મદ અલ-કુબૈસી અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હતો.
16 વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર માર્યા ગયા
ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધી હિઝબુલ્લાહના ઘણા વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગયા શુક્રવારે, ઇઝરાયેલી સંરક્ષણ દળે પુષ્ટિ કરી હતી કે 16 વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર માર્યા ગયા હતા. આ તમામ લોકો બેરૂતમાં એક બેઠક માટે ભેગા થયા હતા. તેમાંના અગ્રણીઓ ઇબ્રાહિમ અકીલ, ફુહાદ શુક્ર, વિસમ-અલ તાવિલ, અબુ હસન સમીર, તાલેબ સામી અબ્દુલ્લા, મોહમ્મદ નાસેર અને ઇબ્રાહિમ કોબીસી છે. કોબીસ હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટનો હવાલો સંભાળતો હતો. કોબીસીને લઈને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે, તે તેના આતંકી સંગઠન માટે કામ કરતો હતો. તેણે આતંકવાદી હુમલાની યોજના અને અંજામ આપવાની તમામ જવાબદારી લીધી હતી. જેના કારણે ઇઝરાયેલની સેના અને નાગરિકોના મોત થયા છે. તેથી તેને મારવો જરૂરી હતો. કોબીસી એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. તે જે ઈમારતમાં રહેતો હતો તેને ઇઝરાયેલની સેનાએ બોમ્બ વડે તોડી પાડ્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહના 15 વધુ લડવૈયાઓ ઘાયલ થયા છે.
અમેરિકાની ટિપ્પણી: હિઝબુલ્લાહ 20 વર્ષ પાછળ થઇ ગયું
ઇઝરાયેલના હુમલાથી હિઝબુલ્લાહની કમર તૂટી ગઇ છે. દેશમાં ચૌ તરફ હુમલાના નિશાન જોવા મળી રહ્યા છે. જેને લઇને હવે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલાઓને કારણે હિઝબુલ્લાહના શક્તિશાળી સ્થિતિમાં ઘટાડો થયો છે, અને તે આશરે 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. આ ઉપરાંત, યુ.એસ.એના અધિકારીઓએ હિઝબુલ્લાહની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડાની માહિતી આપી છે.
આ પણ વાંચો: વિશ્વના નકશામાંથી લેબનોનનું નામ કાઠવા આતુર ઇઝરાયેલ; કર્યો હવે ખતરનાક હુમલો, 400થી વધુના મોત