પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયા બે bomb blasts, ત્રણના મોત અને 20 લોકો ઘાયલ
Pakistan Bomb Blasts: પાકિસ્તાનમાં છાસવારે કોઈ હુમલાના સમાચાર સામે આવતા હોય છે. અત્યારે પાકિસ્તાનના અશાંત વિસ્તાર એવા બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ જગ્યાએ બે બોમ્બ વિસ્ફોટ થયા છે. આ બોમ્બ વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોનું મોત અને સાથે 20 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. નોંધનીય છે કે પોલીસે આ મામલે જાણકારી આપી હતીં. વિગતે વાત કરવામાં આવે તો સોમવારે પ્રાંતના ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં એક મસ્જિદમાં અચાનક વિસ્ફોટ થયો હતો.જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને 15 અન્ય ઘાયલ થયા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું,‘જ્યારે મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા.’
હુમલામાં 20 લોકો ઘાયલ થયાની જાણકારી
બીજા વિસ્ફોટની વાત કરવામાં આવે તો બલૂચિસ્તાનના ખુજદાર શહેરમાં સોમવારે ઓમર ફારૂક ચોક નજીકના માર્કેટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે બજારમાં ઈદની ખરીદી માટે મહિલાઓ અને બાળકોની ભારે ભીડ હતી.
બોમ્બ સ્કોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ વિસ્ફોટમાં બે લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ વ્યક્તિઓ અને મૃતદેહોને ખુજદાર ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે બોમ્બ સ્કોર્ડ દ્વારા આ સ્થળોની તપાસ કરવામાં આવી રહીં છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઓમર ફારૂક ચોક અને મસ્જિદ પાસે પાર્ક કરેલી મોટરબાઈકમાં 'ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ' (આઈઈડી) લગાવવામાં આવ્યા હતા. વધુમાં એક અધિકારીએ જણાવ્યું કે, ‘એવું લાગે છે કે મોટરબાઈકમાં લગાવવામાં આવેલ આઈઈડી રિમોટ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી.’
નોંધનીય છે કે, આ હુમલાની હજૂ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પરંતુ આ વર્ષે તાજેતરના અઠવાડિયામાં, પ્રતિબંધિત સંગઠનો અને આતંકવાદીઓ દ્વારા પ્રાંતમાં ઘણા આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે, જેમાં સુરક્ષા દળો અને સંસ્થાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.