ભારત સામે આરોપ લગાવ્યા બાદ કેનેડાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી ,બદલાયા ટ્રુડોના સૂર
ભારત-કેનેડા વચ્ચે ખાલિસ્તાનીઓના કારણે સંબંધો વણસ્યા છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ સંસંદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર સિંહની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ભારતે પણ આકરા પગલા લીધા હતા અને આરોપો પાયાવિહોણા હોવાની વાત કરી હતી. હવે તેમના સૂર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે, PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું- કેનેડા હજુ પણ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે સમર્પિત છે. ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને તેને અવગણી શકાય નહીં.
ભારત એક વિકસતી આર્થિક શક્તિ
ગુરુવારે કેનેડાના મોન્ટ્રીયલમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે 'તેમનું માનવું છે કે કેનેડા અને તેના સહયોગી દેશો માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વના વિવિધ મંચોમાં પણ ભારતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને ભૌગોલિક રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આપણી હિંદ પ્રશાંત મહાસાગર વ્યૂહરચના માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી, અમે ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ ગંભીર છીએ.
શું છે સમગ્ર વિવાદ?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર આ વર્ષે જૂનમાં કેનેડામાં માર્યો ગયો હતો. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં કેનેડિયન સંસદમાં આરોપ લગાવ્યો હતો કે તેમની સરકારને એવી ગુપ્ત માહિતી મળી છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે. ટ્રુડોના આ આરોપ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને ભારતે ટ્રુડોના નિવેદનને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યું. આ પછી કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા અને ભારતે પણ જવાબમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો -ભારત-કેનેડા તણાવ વચ્ચે એસ.જયશંકર-યુએસ સ્ટેટ સેક્રેટરીની કરી મુલાકાત