VADODARA : MSU માં એડમિશન અંગે પુછતા કોમર્સ ડીને કહ્યું, "GET OUT"
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની કોમર્સ ફેકલ્ટી (COMMERCE FACULTY) માં ધો. 12 ની રીપીટર એક્ઝામ પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એડમિશનની કાર્યવાહી શરૂ કરવામાં ન આવતા હોબાળો મચ્યો હતો. તાજેતરમાં ફેકલ્ટીના કોમર્સ ડીન અને વિદ્યાર્થી નેતા વચ્ચે તુતુ મેેંમેંના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે એક તબક્કે વાત ઉગ્ર બનતા ડીને વિદ્યાર્થી નેતાને GET OUT કહી દીધું હોવાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં આંદોલન-રજુઆત ઉગ્ર બને તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે.
ધો. 12 ની રીપીટર પરીક્ષાના પરિણામો જાહેર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મામલે આ વર્ષે અસંખ્યા રજુઆતો કરવી પડી છે. જીકાસ પોર્ટલથી એડમિશનની પ્રક્રિયા શરૂ થયા બાદથી આજદિન સુધી નિયમિત કોઇને કોઇ ખામી સામે આવી છે. જેની સમયે સમયે રજુઆત કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં બોર્ડની ધો. 12 ની રીપીટર પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ત્યાર બાદ MSU ની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઇ શકે તે માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી સીધો જ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવાનો કારસો રચ્યો હોવાનો આરોપ પૂર્વ વિદ્યાર્થીનેતાઓ દ્વારા લગાડવામાં આવી રહ્યો છે.
વીડિયો હાલ સપાટી પર આવ્યો
તાજેતરમાં કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયને યુનિ.ના પૂર્વનેતા નિખીલ સોલંકીએ એડમિશન પ્રક્રિયા શરૂ ન કરવા અંગે પુછ્યું હતું. અણગમતા સવાલથી ઉશ્કેરાઇને ડીને તેને સીધુ જ ગેટ આઉટ કહી દીધું હતું. જો કે, ડીનના આવા વર્તનથી ડગ્યા વગર વિદ્યાર્થી નેતાઓ પોતાની રજુઆતો અને અણિયારા સવાલો પુછવાનું ચાલુ જ રાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે.
ખાનગી યુનિ.માં એડમિશન માટે આશા
સુત્રોના જણાવ્યા અનુસાર, ધો. 12 કોમર્સની રીપીટરની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6 હજાર જેટલી હતી. MSU માં એડમિશન પ્રક્રિયા શરૂ ન કરવાના કારણે હવે પાસ થનારા વિદ્યાર્થીઓએ ખાનગી યુનિ.માં જ એડમિશન માટે આશા રાખવી પડે તેવી સ્થિતી છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ યુનિ. તંત્ર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ચાંદીપુરા વાયરસનો કહેર જારી, 8 દર્દીઓ સારવાર હેઠળ