VADODARA : મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત
VADODARA : મધ્ય ગુજરાત (CENTRAL GUJARAT) માં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હોવાની મુખ્ય ઇજનેર એમ.ટી.સંગાડાએ જણાવ્યું છે.આ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના સર્વગ્રાહી પ્રયાસો
તેમણે જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના ૨૮૮,ખેડાના ૮૮,આણંદના ૪૧ અને વડોદરા જિલ્લાના ૧૫૨ સહિત કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી. એલ ની ૫૩૬ ટીમોમાં ૧૭૦૬ જેટલા કર્મવીરો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઝડપભેર આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના સર્વગ્રાહી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તંત્ર દ્વારા સમગ્ર સ્થિતી પર બાજ નજર રાખવામાં આવી રહી છે
તો બીજી તરફ MGVCL ના એમડીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, વડોદરાના અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમ જેમ સુરક્ષિત જણાશે તેમ તેમ વિજ પુરવઠો પુન શરૂ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં લોકો પાણી, જમવાનું, વિજળી વગર લાંબો સમય રહેતા તેમના સબરનો બંધ તુટી રહ્યો છે. વડોદરામાં આજે સવારથી વરસેલા વરસાદે લોકોની મુશ્કેલીઓમાં ઉમેરો કર્યો છે, તેમ કહેવું સહેજ પણ ખોટું નથી.
આ પણ વાંચો -- VADODARA : ભારે વરસાદમાં 108 ને 285 કોલ મળ્યા, મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ