VADODARA : ચિરાગ ઝવેરીને શ્રદ્ધાંજલિ બાદ સભા ચાલુ રાખવા મેયરને પત્ર
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) કોંગ્રેસના સિનિયર આગેવાન ચિરાગ ઝવેરી (CONGRESS SENIOR LEADER CHIRAG ZAVERI) નું વિદેશમાં નિધન થયું હતું. જે બાદ વડોદરામાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તેમના અંતિમ દર્શને ઉમટેલી લોકોની ભીડથી તેમની લોકપ્રિયતાનો અંદાજો લગાડી શકાય તેમ હતો. આજે પાલિકાની સભામાં સિનિયર કોંગી નેતા ચિરાગ ઝવેરીને શ્રદ્ધાંજલિ આપી સભા ચાલુ રાખવા માટે તેમના પત્નીએ મેયર, કમિશનર અને સભા સેક્રેટરીને પત્ર લખીને જાણ કરી છે. સામાન્ય રીતે પાલિકાના પૂર્વ નેતાના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપી, મૌન પાળીને સભા મુલતવી રાખવાની પ્રથા પ્રચલિત છે.
આ એક ઐતિહાસીક માંગ
વડોદરા પાલિકાના કોઇ હાલના અથવા તો પૂર્વ નેતાનો સ્વર્ગવાસ થાય તો તેમને શ્રદ્ધાંજલિ આપી મૌન પાળીને સભા મુલતવી રાખવાની પ્રથા ચાલતી આવે છે. તાજેતરમાં સિનિયર કોંગી આગેવાન, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ડે. મેયર અને પૂર્વ વિપક્ષના નેતા ચિરાગ ઝવેરીનું તાજેતરમાં નિધન થયું છે. જે બાદ આજે પાલિકાની સભા મળી રહી છે. જેમાં અગાઉની પ્રથા પ્રમાણે ચિરાગ ઝવેરીને શ્રદ્ધાંજલિ પાઠવી, મૌન પાળીને સભા મુલતવી રાખવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ છે. પરંતુ સ્વર્ગીય ચિરાગ ઝવેરીના પત્ની દ્વારા મેયર સહિત અન્યને પત્ર લખીને સભા ચાલુ રાખવા માટે વિનંતી કરી છે. આ એક ઐતિહાસીક માંગ ગણવામાં આવે છે.
ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ થશે
સ્વર્ગીય ચિરાગ ઝવેરીને પત્ની કલ્પનાબેન ઝવેરીએ જણાવ્યું કે, મેયરને હું કલ્પના ઝવેરી તમને ખાસ વિનંતી કરું છું. ચિરાગ ઝવેરીએ પોતાનું જીવન વડોદારના શહેરીજનોને પ્રશ્નોના નિરાકરણ માટે સમર્પિત કર્યું છે. વડોદરા વાસીઓ મારા દુખમાં ભાગીદાર બન્યા તેમનો આભાર વ્યક્ત કરું છું. મેયરને હું હાથ જોડીને વિનંતી કરું છું, તમે આજે શોક સંદેશ અને મૌન પ્રથા પાળીને સભાને મુલતવી ના રાખશો. ચિરાગ ઝવેરીએ આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપી છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓનું સભામાં વર્તન હતું. લોકોને ન્યાય મળે, તેમના કામ થાય. મેયર તમે સભા ચાલુ રાખશો તો ખરા અર્થમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ થશે. તેવી મારી અને મારા પરિજનોની ઇચ્છા છે.
તમામ સાથે સાથી મિત્ર તરીકે કામ કર્યું
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સભા મુલતવી ના રાખે તે માટે મેયર, કમિશનર અને સભા સેક્રેટરીને આ પત્ર મોકલ્યો છે. ચિરાગ ઝવેરી 1987 થી કોર્પોરેટર થયા ત્યારથી તેઓ કોંગ્રેસમેન રહ્યા છે. પણ તેમણે જીવનમાં તે રીતે વર્તન નથી કર્યું. તેમણે કોંગ્રેસ, બીજેપી કે અન્ય કોઇ પક્ષ હોય તમામ સાથે સાથી મિત્ર તરીકે કામ કર્યું છે. પરંતુ આજે ચિરાગ ઝવેરીના બદલામાં હું વિનંતી કરું છું. તમે પણ વડોદરાની જનતા માટે કોર્પોરેટર કામ કરવા અને વડોદરાનું નામ રોશન કરવા માટે તત્પર રહેજો. જેવી રીતે ચિરાગ ઝવેરીએ કામની સુવાસ મહેકાવી છે. તેવી રીતે દરેક કોર્પોરેટર કામ કરતો રહેશે તેવી આશા વ્યક્ત કરું છું.
આ પણ વાંચો -- VADODARA : પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે - હર્ષ સંઘવી